ઉત્તરાખંડના આલમોડામાં ભારતીય રાષ્ટ્રધ્વજના તિરંગાના બોક્સમાં ચાઇનીઝ જૂતા મોકલવામાં આવતા વિવાદ સર્જાયો હતો. સ્થાનિક વેપારીને કથિતપણે ચીન દ્વારા જૂતાના બોક્સ મોકલવામાં આવ્યા હતા.ચીનની બનાવટના જૂતાના ખોખા પર રાષ્ટ્રધ્વજનું ચિત્ર હતું. બોક્સમાં ચીનની મેન્ડેરિયન ભાષામાં લખાણ પણ મળી આવ્યું હતું.
સિક્કીમની ડોકલામ સરહદ મુદ્દે ભારત-ચીન વચ્ચે તણાવની પરિસ્થતી ચાલી રહી છે ત્યારે ઉશ્કેરણી કરવાના ઈરાદે ચીન દ્વારા આ અવળચંડાઈ કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. અલમોડાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પી.રેણુકા દેવીએ જણાવ્યું હતું કે જૂતાના બોક્સ પર રાષ્ટ્રધ્વજનું ચિત્ર એ તિરંગાનું અપમાન છે. આ અંગે તપાસ શરૂ કરાઈ છે.
અલમોડાના રુદ્રપુરના વેપારીએ દિલ્હીથી જૂતાંનો ઓર્ડર આપ્યો હતો. આ જૂતાં ક્યાંથી આવ્યા એ અંગે અજાણ હોવાનો વેપારીએ દાવો કર્યો હતો. આ જૂતા ચીન દ્વારા મોકલાયાં હતાં. પોલીસે આ સંદર્ભમાં દિલ્હીના વેપારીની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી હતી. તિરંગાનું અપમાન કરતા જૂતાના બોક્સ મળી આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જૂતાની ડિલિવરી મેળવનાર વેપારી બિશન બોરાએ દિલ્હીના સપ્લાયર સામે ફરિયાદ નોંધાવી હતી. બોરાએ જણાવ્યું કે જ્યારે તેણે સામાન મેળવ્યો ત્યારે માત્ર સાત બોક્સ સામાન્ય પેકિંગમાં હતા જ્યારે અન્ય તમામ જૂતા તિરંગાના રંગોમાં પેક કરાયેલા હતા.