વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારણસીની બે દિવસની મુલાકાતે છે. ત્યારે બીજા દિવસે પીએમ મોદી શનિવારે વારણસી નજીક આવેલા શહેનશાહપુરમાં શૌચાલયનો પાયો રાખીને સ્વચ્છતા અભિયાનની શરુઆત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ખેડૂતોની જનસભાને પણ સંબોધન કર્યું. આ પ્રસંગે પીએમ મોદી સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક અને સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ ખેડૂતોની સભાને સંબોધન કરતા કહ્યું, મુશ્કેલ કામ કરવાનું મે બીડુ ઝડપ્યું છે. મુશ્કેલ કામ હું નહી કરું તો કોણ કરશે. પશુઓ વોટ નથી આપી શકતા એટલે અત્યાર સુધી અન્ય પાર્ટીઓનું તેમના પર ધ્યાન નથી ગયું અને તેમના માટે કોઇએ કામ નથી કર્યું, અમે વોટ્સના હિસાબે કામ નથી કરતા.
વધુમાં જણાવતા પીએમ મોદીએ કહ્યું, આપણે જાણીએ છીએ કે ખેડૂતોની આવકમાં સૌથી મોટી મદદ કોઇ હોય તો તે પશુપાલન અને તેમના દૂધ ઉત્પાદનથી મળે છે.” અમારો સંકલ્પ છે કે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરીએ. ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ પૂરાં થાય છે. આ સંકલ્પ પશુપાલનથી પૂરો થઇ શકે છે. ૫ વર્ષમાં આ સંકલ્પને સિદ્ધ કરીએ.”