Rajkot News: રાજકોટમાં ત્રણ દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને (Heavy Rain)કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એમાંનું એક છે શહેરના સોરઠિયાવાડી સર્કલ (Sorathiyavadi Circle) પાસે આવેલો લલુડી વોકળી વિસ્તાર, જ્યાં વરસાદને કારણે 15 ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં અને એને કારણે ત્યાં ઘરોમાં રહેતા 2000 જેટલા લોકો ફસાઇ ગયા હતા. જોકે આજે આ વિસ્તારમાંથી ધીમે ધીમે પાણી ઊતરી રહ્યું છે.
આ વિસ્તારમાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. દર વર્ષે વરસાદમાં પાણી ભરાઈ જાય છે. જોખમી રીતે પાણી ભરાઇ જતાં લોકોને અનેક દિવસો સુધી મુશ્કેલી વેઠવી પડે છે. એના માટે તંત્ર દ્વારા એકપણ વખત કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. 50 વર્ષથી વધુ સમયથી સ્થિત આ વોકળીના લોકોએ ઓફ કેમેરા પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે નેતાઓ આ વિસ્તારમાં મત લેવા માટે તો આવે છે, પરંતુ અહીંની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.
રાજકોટની લલુડી વોકડીમાં છેલ્લાં 25 વર્ષથી વધુ સમયથી રહેતા અમૃત પટેલે જણાવ્યું હતું કે વરસાદમાં અહીં ખૂબ જ તકલીફ પડે છે, શેરીમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઈ જાય છે અને ઘરમાં પણ પાણી ઘૂસી જતાં ખૂબ જ મુશ્કેલી પડે છે. છેલ્લા ત્રણ દિવસથી લલુડીના તમામ રસ્તાઓ બંધ છે. આજે થોડી રાહત થઈ હોવાથી અમે અમારી સાથે પાણીનો નિકાલ કરીએ છીએ. ઘરની બહાર નીકળી શક્યા નથી. અહીં કોઈ અમારી સમસ્યા દૂર કરવા માટે પણ આવ્યું નથી. દર વર્ષે આ તકલીફ પડે છે.
ચુવાન ડાભીએ જણાવ્યું હતું કે હું કેવડાવાડી શેરી નં. 22માં રહું છું, પરંતુ અહીં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે સેવાકાર્ય કરીએ છીએ. આ વિસ્તારમાં અંદાજે 1500થી 2000 જેટલા લોકો રહેતા હશે. વરસાદને કારણે અહીં 15 ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું હતું. જોકે તેમ છતાં અમુક લોકો ઘરની બહાર નીકળતા નથી, જેથી NDRF, ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર સહિતની સુરક્ષા એજન્સીઓ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કરી રહી હતી. 50 વ્યક્તિને રેસ્ક્યૂ કરાઈ હતી, જેમાંથી એકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું તો અન્ય વ્યક્તિ જે હોસ્પિટલમાં કોમામાં હતી તેનું પણ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કાર્યકરોને અપીલ
આ પણ વાંચો: સુરતમાં પાણી ભરાવવાનું કારણ, જળસ્ત્રોતો પર અતિક્રમણ
આ પણ વાંચો: નવા સંસદ ભવનમાં ઘૂસી ગયા પાણી, જ્યારે ઉઠ્યા સવાલો,જાણો લોકસભા સચિવાલયે શું આપ્યો જવાબ?
