રાજકોટ,
રાજકોટના વિદ્યાર્થીઓ દીવમાં ડૂબવાને મામલે હવે તંત્ર દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. શાળાના આચાર્ય સહિત 3 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ મૃતક વિદ્યાર્થી રાજકોટમાં આવેલી જવાહર શિશુવિહાર શાળાના હતા.
આ શાળામાંથી દીવ ખાતે પ્રવાસે લઇ જવામાં આવ્યા હતા. પ્રવાસ દરમિયાન આ વિદ્યાર્થીઓ દીવના દરિયામાં ડૂબી ગયા હતા. જેથી જવાહર શિશુવિહારના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી હતી.
રાજકોટમાં વાલીઓ જવાહર શિશુ વિહાર ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં કલાકો સુધી આક્રંદ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અજય અને પ્રિતના સગા-વહાલાઓએ ગમે ત્યાંથી અમારા સંતાનોને હાજર કરો-નો આર્તનાદ કરતા વાતાવરણ દુખી થઇ ગયું હતું.
રેલનગરમાં આવેલી જવાહર શિશુ વિહાર શાળાના બે વિદ્યાર્થી અજય કિશોરભાઈ રાઠોડ અને પ્રિત નટુભાઈ કોરડીયા નાગવા બીચ ખાતે દરિયામાં નહાવા પડયા હતા અને ડૂબી ગયા હતા.
જે વખતે આ તમામ લોકો ડૂબ્યા તે વખતે શિક્ષકો બીચ પર મજા માણતાં હતા. આ ખુલાસો એક પ્રત્યક્ષદર્શીએ કર્યો હતો. તો બીજી બાજુ જિલ્લા વિકાસ અધિકારીએ જવાહર શિશુવિહાર સ્કૂલને કારણદર્શન નોટીસ પણ ફટકારવામાં આવી છે.