Health News : આજના વ્યસ્ત જીવનમાં લોકોને સમય ઓછો અને ભોજન માટે વધુ અનુકૂળ વિકલ્પો મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, પેકેજ્ડ ફૂડ અને નાસ્તાની માંગ ઝડપથી વધી છે. ભારતમાં તાજેતરના એક અહેવાલ મુજબ, 38% લોકો તેમની ભૂખ સંતોષવા માટે પેક કરેલા, ખારા અને તેલયુક્ત નાસ્તા જેવા બિનઆરોગ્યપ્રદ ખોરાક લે છે. અમેરિકાની ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IFPRI) દ્વારા બહાર પાડવામાં આવેલા ‘ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ 2024: હેલ્ધી ડાયેટ એન્ડ ન્યુટ્રિશન’માં આ ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 16.6% વસ્તી કુપોષણથી પીડિત છે, જેનું મુખ્ય કારણ ખાવાની ખરાબ આદતો છે. 10 માંથી 4 ભારતીયો બિનઆરોગ્યપ્રદ પેકેજ્ડ ફૂડ આરોગે છે, જ્યારે માત્ર 2 લોકો જ 5 ભલામણ કરેલ ખાદ્ય જૂથોનો વપરાશ કરે છે. તેમાં સ્ટાર્ચથી ભરપૂર ખોરાક, શાકભાજી, ફળો, કઠોળ અને બદામ જેવા સૂક્ષ્મ પોષકતત્વોથી સમૃદ્ધ ખોરાકનો સમાવેશ થાય છે.પેકેજ્ડ ખોરાક અને નાસ્તામાં ઘણી વખત ખાંડ, ચરબી અને સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. આ તત્વો સ્વાદિષ્ટ હોય છે, પરંતુ શરીર માટે હાનિકારક હોઈ શકે છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી સ્થૂળતા, હૃદય રોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોનું જોખમ વધી શકે છે.
નિષ્ણાતો કહે છે કે પેકેજ્ડ ફૂડમાં ઓછા પોષક તત્વો હોય છે, જ્યારે તાજા ફળો, શાકભાજી અને કુદરતી ખોરાક શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર પ્રદાન કરે છે,જે તંદુરસ્ત જીવનશૈલી માટે જરૂરી છે. પેકેજ્ડ નાસ્તાને કારણે લોકો આયર્ન, ઝિંક અને વિટામિન્સ જેવા સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપથી પણ પીડાઈ શકે છે.આ રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે સમય અને સ્વાદની બચત માટે લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આપણા આહારમાં યોગ્ય સમયે તાજી અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી આપણે આ ગંભીર રોગોથી સુરક્ષિત રહી શકીએ અને સ્વસ્થ જીવન જીવી શકીએ.
આ પણ વાંચો:એપલ વિનેગર જે પાચનતંત્રને રાખે સ્વસ્થ, તમે રહેશો મસ્ત!
આ પણ વાંચો:ઈન્સટન્ટ એનર્જી ડ્રિંક પીવા કેટલા ફાયદકારક છે? બજારોમાં થઈ રહ્યું છે સતત વેચાણ
આ પણ વાંચો:આંખોની આસપાસ સતત થઈ રહ્યો છે તમને દુખાવો? અંધ પણ થઈ શકો છો…
