Rajkot News : સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયમાં રાજકોટ (Rajkot)ના મવડી રોડ પર આવેલી જાણીતી અર્જુન જ્વેલર્સમાંથી વિશ્વાસુ કર્મચારી દ્વારા જ મોટી ઉચાપત થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અર્જુન જ્વેલર્સના હેડ કેશિયરે ગ્રાહકો અને માલિક બંનેને વિશ્વાસમાં લઈ કુલ રૂપિયા 1 કરોડ 99 લાખની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.
રાજકોટ (Rajkot)ના જ્વેલર્સે ફરિયાદ નોંધાવી
આ મામલે અર્જુન જ્વેલર્સના માલિક અને સોની વેપારી મનીષ પટેલ દ્વારા રાજકોટ (Rajkot)શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમના તત્કાલીન હેડ કેશિયર હિતેશ પરમાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સામે IPC કલમ 316(4), 336(2), 338, 340(2) સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાતા જ તાલુકા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ફરિયાદ અનુસાર, આણંદ જિલ્લાના બોરસદના વતની હિતેશ પરમારને વર્ષ 2022માં કેશિયર તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી તે શોરૂમમાં હેડ કેશિયરની જવાબદારી સંભાળી રહ્યો હતો. જોકે, તેની ગેરવર્તણૂકને કારણે 5 ઓગસ્ટ 2025ના રોજ તેને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યો હતો.
હિતેશ પરમારને નોકરીમાંથી કાઢ્યા બાદ એક પછી એક ગ્રાહકો અર્જુન જ્વેલર્સ પર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2024થી મે 2025 દરમિયાન સોનાના દાગીના ખરીદવા માટે વિવિધ રકમ હિતેશ પરમાર પાસે જમા કરાવી હતી. ગ્રાહકોને હિતેશે રોકડ રકમ સ્વીકારી અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના નામે વાઉચર તથા બિલ આપ્યા હતા.
જ્યારે આ વાઉચર અને બિલની તપાસ શોરૂમની આંતરિક સિસ્ટમમાં કરવામાં આવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. ઘણા વાઉચર અને બિલ સિસ્ટમમાં નોંધાયેલા જ નહોતા અને કેટલાક તો માત્ર ફોટા બનાવી ગ્રાહકોને આપેલા હોવાનું બહાર આવ્યું. આ રીતે હિતેશે ખોટા દસ્તાવેજો બનાવી મોટા પ્રમાણમાં નાણાંની ઉચાપત કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો છે કે હિતેશ પરમારે ગ્રાહકોને અલગ-અલગ સ્કીમોની લાલચ આપી રૂ. 1.74 કરોડની રોકડઉચાપત કરી હતી. આ ઉપરાંત ખોટા વાઉચર અને બિલના આધારે 265 ગ્રામ સોનાની પણ ઉચાપત કરાઈ હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે શોરૂમના CCTV ફૂટેજ કબજે કર્યા છે તેમજ અર્જુન જ્વેલર્સના માલિક મનીષ પટેલ અને છેતરાયેલા તમામ ગ્રાહકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આરોપી હિતેશ પરમાર ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.
રાજકોટ (Rajkot)ના જ્વેલરી વ્યવસાયમાં હલચલ
આ ઘટનાએ રાજકોટ (Rajkot)ના જ્વેલરી વ્યવસાયમાં હલચલ મચાવી દીધી છે અને વિશ્વાસુ કર્મચારી પર અંધ વિશ્વાસ રાખવાના જોખમ સામે ગંભીર ચેતવણી ઊભી કરી છે.
