PM Modi CCS Meeting Iran Israel War: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મોત બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. આ વૈશ્વિક સંકટને જોતા ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રાત્રે 10 વાગ્યે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) ની હાઈ-લેવલ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભારતની સુરક્ષા અને વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

શા માટે બોલાવાઈ CCS Meeting?
CCS (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી) એ ભારતની સુરક્ષા અને સંરક્ષણ બાબતોની સૌથી શક્તિશાળી કમિટી છે, જેની આગામી બેઠકમાં રક્ષા મંત્રી, વિદેશ મંત્રી અને ગૃહ મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહેશે. આ બેઠકના મુખ્ય એજન્ડામાં ઈરાન અને ઈઝરાયેલમાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા સૌથી ઉપર છે, જેમાં યુદ્ધની ગંભીર સ્થિતિને જોતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ‘રેસ્ક્યુ ઓપરેશન’ની તૈયારીઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત, ભારત તેના ક્રૂડ ઓઈલની જરૂરિયાત માટે ખાડી દેશો પર નિર્ભર હોવાથી, યુદ્ધને કારણે સપ્લાય લાઈન ખોરવાય તો દેશની અર્થવ્યવસ્થા પર પડનારી અસરોની પણ ગંભીર સમીક્ષા થશે. નોંધનીય છે કે બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ સહિત અનેક જાણીતા ભારતીયો પણ હાલ વિદેશમાં ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે, જેમને ભારત સુરક્ષિત પરત લાવવા માટે સરકાર મંથન કરી રહી છે.
ઈરાન-ઈઝરાયેલ જંગ અને ભારતનું વલણ
શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાના ઈરાન પરના હુમલામાં ખામેનીના મોત બાદ ઈરાને વળતો પ્રહાર શરૂ કર્યો છે. ઈરાને ખાડીના દેશો અને ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે. ભારત હંમેશા આ મુદ્દે સંતુલિત કૂટનીતિ અપનાવતું આવ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ભારત માટે પોતાના વ્યૂહાત્મક હિતોની રક્ષા કરવી અનિવાર્ય બની છે.
દૂતાવાસોને એલર્ટ રહેવા આદેશ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય દૂતાવાસોને ચોવીસ કલાક એલર્ટ રહેવા અને ભારતીય નાગરિકોના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે. સમુદ્રી માર્ગો અને વ્યાપારિક લાઈનોની સુરક્ષા પર પણ નૌસેનાની નજર છે.
આ પણ વાંચો:આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા
આ પણ વાંચો:ઓમાન નજીક ઈરાનનો તેલ ટેન્કર પર હુમલો: 15 ભારતીયો બચ્યા; ટ્રમ્પ અને નેતન્યાહૂની ઈરાનને કડક ચેતવણી
