Bhavnagar News : ભાવનગરમાં મિલકત ટ્રાન્સફર મામલે લાંચકાંડ સામે આવતા હડકંપ મચ્યો છે. અશાંતધારા હેઠળ આવતી મિલકત ટ્રાન્સફર કરાવવા માટે SDMના ડ્રાઇવરે લાંચ માંગી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મોમીન નામના ડ્રાઇવરે 14 લાખના સોદામાંથી 10 લાખ રૂપિયા લઈ લીધાના CCTV અને ઓડિયો વાયરલ થતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. કહેવામાં આવે છે કે હિન્દુ માલિકીની કોમ્પ્લેક્ષ વિધર્મીને વેચવા માટે મંજૂરી મેળવવા લાંચ (Bribe)માંગવામાં આવી હતી.

આ મામલે SDM પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ડ્રાઇવરે તેમના નામે રૂપિયા લીધા હોવાની તેમને કોઈ જાણ નહોતી. વાયરલ મેસેજ મળતા જ ડ્રાઇવરને તાત્કાલિક નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યો છે અને તેની સામે કાર્યવાહી કરવા પોલીસ વડાને અરજી પણ આપવામાં આવી છે.
ભાવનગરમાં અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરને લઈને વિવાદ ઊભો થયો છે. મિલકત ટ્રાન્સફર માટે રૂપિયા લેવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
આ મુદ્દે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે જણાવ્યું છે કે અશાંતધારા હેઠળ પોલીસ તરફથી એકપણ અરજીને મંજૂરી આપવામાં આવી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે પોલીસનો અભિપ્રાય નકારાત્મક હોય, ત્યારે મંજૂરી આપવાની પ્રક્રિયા શક્ય જ નથી.

તે વચ્ચે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પછી SDM દ્વારા મિલકત ટ્રાન્સફરને મંજૂરી કેવી રીતે આપવામાં આવી?
આ મામલે IAS અધિકારી અને તેમના ડ્રાઇવરની તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
