India’s First Barrierless Toll Plaza Surat: વાહનચાલકો માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. દેશનું સૌપ્રથમ બેરિયર-ફ્રી (બેરિયર વગરનું) ટોલ પ્લાઝા ગુજરાતના સુરતમાં કાર્યરત થઈ ગયું છે. NHAI દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા ટ્રાયલ બાદ હવે આ હાઈટેક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ સુવિધાથી હવે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ભરવા માટે વાહનોને થોભવું નહીં પડે.

ક્યાં શરૂ થયું આ Toll Plaza?
સુરતના ચોર્યાસી ખાતે મુંબઈ-દિલ્હી હાઈવે (NH-48) પર આ દેશનું પહેલું મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. સુરત અને ભરૂચ વચ્ચે કામરેજ પાસે આવેલા આ ટોલ પ્લાઝા પર હવે વાહનચાલકોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે.
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?
આ ટોલ પ્લાઝા પર કોઈ પણ પ્રકારના બેરિયર કે અવરોધ હશે નહીં, કારણ કે અહીં હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને AI આધારિત ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કોન્ટેક્ટલેસ પેમેન્ટ સિસ્ટમમાં વાહન જ્યારે ટોલની નીચેથી પસાર થશે, ત્યારે કેમેરા તેની નંબર પ્લેટ સ્કેન કરી લેશે અને FASTag સાથે જોડાયેલા એકાઉન્ટમાંથી પૈસા ઓટોમેટિક કપાઈ જશે. આ ટેકનોલોજીને કારણે વાહનોને ધીમા પડવાની પણ જરૂર નથી અને વાહનચાલકો 80 કિમી/કલાકની ઝડપે અહીંથી સીધા પસાર થઈ શકશે.

દેશભરમાં 1050 થી વધુ ટોલ પ્લાઝા બદલાશે
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયની યોજના મુજબ, 2026 ના અંત સુધીમાં ભારતના 1050 થી વધુ ટોલ પ્લાઝાને આ રીતે AI બેઝ્ડ સિસ્ટમમાં બદલી દેવામાં આવશે. આનાથી માત્ર સમય જ નહીં, પણ મોટા પાયે ઈંધણની પણ બચત થશે.
મોટો આર્થિક ફાયદો
NHAI ના અંદાજ મુજબ, આ બેરિયર-ફ્રી સિસ્ટમને કારણે દેશમાં વર્ષે અંદાજે 1,500 કરોડ રૂપિયાના ઈંધણની બચત થશે. સાથે જ, ટેક્સ કલેક્શનમાં પારદર્શિતા આવતા સરકારને 6,000 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની પણ શક્યતા છે.
આ પણ વાંચો: હવે ટોલ નાકે ઉભા રહેવાની ઝંઝટ ખતમ! ગુજરાતમાં દેશના પહેલા ‘બેરિયર ફ્રી’ ટોલ પ્લાઝાનું 2 ફેબ્રુઆરીથી ટ્રાયલ
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવાશે
આ પણ વાંચો: મોરબીના માળિયામાં સૂરજબારી ટોલ પ્લાઝા પાસે ભયંકર માર્ગ અકસ્માતમાં 4ના મોત, 7 ઇજાગ્રસ્ત
