Surat News: પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં ચાલતા ખાડીયુદ્ધ (Gulf War) ને લઈને સપ્લાય ચેઇનમાં અવરોધ સર્જાતા લોકોને સંયમિત રીતે ઇંધણ (Fuel)નો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે લોકો પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) અને રાંધણ ગેસનો (LPG) સંયમપૂર્વક ઉપયોગ કરે. પીએમ મોદી (PM Modi) ની અપીલ પછી દેશવાસીઓની સાથે રાજ્યના સરકારી વિભાગોએ પણ ઇંધણનો એટલે કે ખાસ કરીને પેટ્રોલ-ડીઝલનો સંયમિત ઉપયોગ કરવા કમર કસી છે. પણ સુરતીઓ પીએમ મોદીની અપીલને ઘોળીને પી ગયા લાગે છે. તેમા પણ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ અપીલ કરી તેનો રીતસરનો ફિયાસ્કો થઈ ગયો છે.

ઇંધણ (Fuel) બચાવવાની VNGSU કુલપતિની અપીલ બહેરા કાને અથડાઈ
સુરતની VNGSUના કુલપતિની અપીલનો ફિયાસ્કો થઈ ગયો છે. યુનિવર્સિટીના વહીવટીતંત્રએ જાણે અપીલ જ ગણકારી ન હોય તેમ કુલપતિની કાર પૂલિંગ (Car Pooling) ની, જાહેર પરિવહનનો ઉપયોગની અને સાઇકલનો ઉપયોગ કરવાની અપીલની ઠેકડી ઉડાડી બિન્દાસ્ત જે રીતે ઓફિસે આવે છે તે રીતે આવવાનું જારી રાખ્યું હતું. કુલપતિની અપીલ છતાં પણ સ્ટાફ ગાડીઓ લઈને ઉમટી પડ્યો હતો.

કુલપતિએ ઓફસની નજીક રહેતા લોકોને ચાલતા કે સાઇકલ પર આવવાની સૂચના આપી હતી. આ સિવાય દૂર રહેતા લોકોને કાર પૂલિંગની અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. પણ સ્ટાફ પર કુલપતિની અપીલની કોઈ અસર થઈ નથી. સ્ટાફે કુલપતિની અપીલથી કંઇક અલગ જ વિચાર્યુ લાગે છે.

ઇંધણ બચાવવાની અપીલને લઈને સરકારી તંત્રમાં ઉદાસીનતા
તેનાથી વિપરીત ગુજરાત યુનિવર્સિટીએ પીએમ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને તેના વહીવટી વિભાગ માટે આ પરિપત્ર જારી કર્યો છે. ઇંધણની બચત માટે પરિપત્ર થકી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીના વહીવટી વિભાગને કાર પૂલિંગની સાથે-સાથે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
આ અંગે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કરતા જોવા મળ્યુ હતું કે ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓએ કાર પૂલિંગનો પ્રારંભ તો કરી દીધો છે, પરંતુ હજી પણ તેનો સંપૂર્ણ અમલ થતા વાર લાગે તેમ છે. તેની પાછળ રૂટથી લઈને વિવિધ પરિબળો પણ જવાબદાર હોવાનુ મનાય છે. આ સિવાય કેટલાય કર્મચારીઓ હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ તેને અનુસરી છે.
