Surat News : તાજેતરના પૂરની સ્થિતિ બાદ હવે પુણાગામ વિસ્તારમાં આવેલી ભાતની વાડી જનસેવા કેન્દ્રને(Public Service Center) લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પૂરનું પાણી ઓસર્યા બાદ પણ જનસેવા કેન્દ્રમાં નિયમિત કામગીરી શરૂ થઈ નથી, જેના કારણે રોજિંદા વહીવટી કામ માટે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
‘ફ્લડ કામગીરી’ના બહાને કચેરી પર તાળાં, લોકોને ધક્કા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જનસેવા કેન્દ્રના(Public Service Center) પ્રવેશદ્વાર પર સૂચના લગાવવામાં આવી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોના સર્વે અને રાહત કામગીરીને કારણે કચેરીમાં જાહેર સેવા અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. આ સૂચનાના કારણે વિવિધ કામ માટે આવેલા અરજદારોને કોઈ સેવા મળ્યા વગર પરત ફરવું પડી રહ્યું છે.
મહિલાઓ, વૃદ્ધો સહિત અરજદારો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર
રહેવાસીઓનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસોથી મહિલાઓ, વૃદ્ધો અને અન્ય અરજદારો વહેલી સવારથી કચેરી(Public Service Center) બહાર પહોંચે છે, પરંતુ કલાકો સુધી રાહ જોયા પછી પણ તેમનું કામ થઈ શકતું નથી. આવકના દાખલા, પ્રમાણપત્રો, હોસ્પિટલ સંબંધિત દસ્તાવેજો અને શાળા-કોલેજમાં પ્રવેશ માટે જરૂરી કાગળોની પ્રક્રિયા અટવાઈ જતાં લોકોમાં નારાજગી વધી રહી છે.
અધિકારીઓ ગેરહાજર હોવાનો આક્ષેપ, ખાનગી એજન્ટો લોકોને પરત મોકલતા હોવાની ફરિયાદ
કેટલાક સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કચેરીમાં (Public Service Center) જવાબદાર અધિકારીઓ સાથે સીધો સંપર્ક થઈ શકતો નથી. તેમના કહેવા મુજબ, કચેરીની બહાર કેટલાક ખાનગી વ્યક્તિઓ અરજદારોને કામ નહીં થાય તેમ કહી પરત મોકલી રહ્યા છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.સ્થાનિકોનું કહેવું છે કે જો મોટા ભાગનો સ્ટાફ પૂર સંબંધિત કામગીરીમાં વ્યસ્ત હોય તો પણ જાહેર હિતને ધ્યાનમાં રાખીને કચેરીમાં મર્યાદિત સ્ટાફની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તાત્કાલિક અને જરૂરી સેવાઓ બંધ ન થાય.
આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હવે લોકો તંત્ર પાસેથી સ્પષ્ટતા અને જનસેવા કેન્દ્રમાં નિયમિત કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરત પૂર વચ્ચે રાજકીય ઘમાસાણ: વાયરલ વીડિયો બાદ MLA કુમાર કાનાણીના AAP પર ગંભીર આક્ષેપ
આ પણ વાંચો: સુરતમાં ખાડી પૂરથી ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે ફટકો, રૂ.200 કરોડથી વધુનું નુકસાન
