Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ (Narendra Modi Birthday) નિમિત્તે સીતાવન ગીર ગૌશાળા (Sitavan Gir Gaushala) દ્વારા ગૌસેવા સાથે મહિલા સશક્તિકરણ અને આજીવિકા સર્જનને જોડતી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ગૌશાળા પરિવાર દ્વારા ગુજરાતની 76 જરૂરિયાતમંદ મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન કરવાનો સેવાસંકલ્પ લેવામાં આવ્યો છે.વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વસંધ્યાએ અમદાવાદના વીંઝોલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ‘ગૌ-માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન’ નામના આ કાર્યક્રમમાં લાભાર્થી મહિલાઓને ગૌમાતા અર્પણ કરવામાં આવશે.
Sitavan Gir Gaushala: ગૌસેવાને મહિલા સશક્તિકરણ સાથે જોડવાનો પ્રયાસ

સીતાવન ગીર ગૌશાળા દ્વારા કરવામાં આવી રહેલી આ પહેલનો હેતુ માત્ર ગૌદાન પૂરતો મર્યાદિત નથી. આર્થિક રીતે નબળા, આદિવાસી અને બીપીએલ પરિવારોની મહિલાઓને પશુપાલનના માધ્યમથી આવકનું સાધન મળે અને તેઓ આત્મનિર્ભર બની શકે તે દિશામાં આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગૌશાળા પરિવારનું માનવું છે કે ગૌસેવા સાથે જો આજીવિકા અને સમાજસેવાનો વિચાર જોડાય તો તેનો સીધો લાભ જરૂરિયાતમંદ પરિવારો (Cow Donation Gujarat) સુધી પહોંચાડી શકાય છે.
લાભાર્થી મહિલાઓની પસંદગી માટે સર્વે
આ પહેલને અમલમાં મૂકવા માટે સીતાવન ગીર ગૌશાળા પરિવાર દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમોએ ગુજરાતના અલગ-અલગ વિસ્તારો અને ગામડાઓમાં જઈ સંભવિત લાભાર્થી પરિવારોનો સંપર્ક કર્યો હતો. લાભાર્થીઓની પસંદગી કરતી વખતે પરિવારની આર્થિક સ્થિતિ, પશુપાલન માટેની ઉપલબ્ધ સુવિધા, ગૌમાતાની સંભાળ રાખવાની ક્ષમતા અને પરિવારની વાસ્તવિક જરૂરિયાત જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

ગૌમાતાની તંદુરસ્તી માટે પણ ખાસ પ્રક્રિયા
લાભાર્થીઓની પસંદગીની સાથે ગૌમાતાની પસંદગી માટે પણ વિશેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પસંદગી કરવામાં આવતી ગીર ગૌમાતાની તંદુરસ્તી, ઉંમર, સ્વભાવ અને દૂધ ઉત્પાદનની ક્ષમતા સહિતના વિવિધ પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. યોગ્ય ગૌમાતાની પસંદગી બાદ પશુચિકિત્સકીય તપાસ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણ અને જરૂરી દસ્તાવેજીકરણ જેવી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આથી લાભાર્થી પરિવારોને સ્વસ્થ અને યોગ્ય ગૌમાતા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પહેલમાં લાભાર્થી મહિલાઓને માત્ર ગૌમાતા સોંપવામાં નહીં આવે, પરંતુ તેની સંભાળ માટે જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં પશુ આહાર, મિનરલ મિશ્રણ, આરોગ્ય પ્રમાણપત્ર અને રસીકરણ સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ગૌમાતાને કાર્યક્રમ સ્થળેથી લાભાર્થીના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગૌદાન બાદ પણ ચાલુ રહેશે સહયોગ
સીતાવન ગીર ગૌશાળા પરિવાર દ્વારા ગૌદાન બાદ પણ લાભાર્થી પરિવારો સાથે સંપર્ક જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશુચિકિત્સકીય માર્ગદર્શન, ગૌમાતાના આરોગ્ય અને પોષણ અંગે માહિતી, પશુ આહાર અને સંભાળ ઉપરાંત દૂધ ઉત્પાદન તથા પશુપાલન વ્યવસ્થાપન અંગે પણ જરૂરી સહયોગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
કોણ ચલાવે છે સીતાવન ગીર ગૌશાળા?
દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને તેમના પરિવાર દ્વારા સંચાલિત સીતાવન ગીર ગૌશાળા ગૌસંરક્ષણ, ગૌસંવર્ધન અને ગૌસેવાના ક્ષેત્રમાં કામગીરી કરી રહી છે. ગૌશાળાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના સંકલન અને સંચાલનમાં વૈભવભાઈ પટેલની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવાયું છે. તાજેતરમાં રાજ્યપાલના હસ્તે સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૌશાળા દ્વારા ગૌસેવાને સામાજિક સેવા, મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય પરિવારો માટે આવકના સાધન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
76 મહિલાઓ માટે માત્ર ગૌદાન નહીં, આત્મનિર્ભરતાની તક
‘ગૌ-માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન’ કાર્યક્રમ અંતર્ગત 76 જરૂરિયાતમંદ મહિલાઓને ગીર ગૌમાતા આપવાની પહેલને ગૌસેવા સાથે સ્વરોજગાર અને મહિલા સશક્તિકરણના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. ગૌદાન બાદ પણ સતત માર્ગદર્શન અને સહયોગ આપવાની યોજના હોવાથી આ પહેલનો હેતુ લાંબા ગાળે લાભાર્થી પરિવારોને પશુપાલન આધારિત આવક તરફ આગળ વધારવાનો છે.
આ પણ વાંચો: વાવ-થરાદના માવસરી ગામની ગૌશાળામાં ₹1.24 કરોડની ઉચાપતનો આક્ષેપ, ભાજપ-કોંગ્રેસ સામસામે
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના તરણેતર ગામમાં ગૌશાળાના નામે કરોડોની છેતરપીંડી
