રાજકોટ,
ગુજરાત વિધાનસભાની ચુંટણી સાથે સાથે લગ્નસરાની સીઝન પણ પુરબહારમાં છે. રાજ્યમાં અનેક ઠેકાણે નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડતાં પહેલાં મતદાન કર્યું હતું. જસદણમાં 15 જેટલા નવયુગલોએ લગ્ન અગાઉ વાજતે ગાજતે મતદાન કર્યું હતું તો પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા સુમીત હરીશભાઈ વારા નામના યુવાને લગ્ન પહેલાં મતદાન કર્યું હતું.
વરરાજા બનેલા સુમીત વારાએ કહ્યું કે મારા લગ્ન અને મતદાન એક જ દિવસે છે અને મેં મતદાનને પ્રાથમિકતા આપી છે. હું મતદાન બાદ લગ્ન મંડપમાં લગ્ન વિધીમાં ભાગ લઈશ. સુમીત વારાએ પોતાના પરીવાર સાથે મતદાન કર્યું હતુ. સુમીતની જેમ જ નવસારીમાં પણ પ્રફુલ પટેલે ચોરીના ચાર ફેરા ફરતા પહેલા મતદાન કર્યું હતું.
અંક્લેશ્વર જીઆઇડીસીમાં રહેતી શ્વેતા ચૌહાણની લગ્નની વિધિ ચાલી રહી હતી, પરંતુ લોકશાહીના પર્વની ઉજવણીમાં પોતાના અમૂલ્ય યોગદાનને નિભાવવા માટે શ્વેતાએ પોlતાના પરિવારજનો સાથે મતદાન મથક પર જઇને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સુરતમાં પણ એક નવોઢાએ લગ્ન પહેલાં જ મતદાન કર્યું હતું. રાંદેર વિસ્તારમાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં રહેતી દીક્ષીતા વાઘેલાએ દિક્ષીતાએ તેને લગ્ન પહેલાં મતદાન કર્યું હતું. દિક્ષીતા ઓલપાડના અરીયાણા-કુકડી ગામમાં તલાટી કમ મંત્રી છે. જેના લગ્ન રાજીવ ચૌહાણ સાથે થવાના છે. દિક્ષીતાએ જણાવ્યું હતું કે, એક પરિણીતા માટે જે રીતે સિંદૂરનું મહત્વ છે તે રીતે જ દરેક મતદાર માટે મતદાન કરીને તેની શાહી લગાવી લોકશાહીને મજબૂત બનાવવાનું એટલું જ મહત્વ આંકી શકાય છે.