મુંબઈ
મુંબઈમાં માનખુર્દ વિસ્તારમાં આવેલી મશહૂર માયા હોટલ પાસે એક દુકાનમાં રવિવારે વહેલી સવારે શોર્ટ સર્કિટ ના લીધે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભયંકર હતી કે તેની જ્વાળાઓ દૂરથી રસ્તા પરથી પસાર થતા લોકોએ પણ જોઈ હતી. આગની જ્વાળા થોડાક જ સમયમાં દુકાનની નજીકના ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ હતી. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ૨૦ ગાડીઓ ઘટનાસ્થળે આવી ગઈ હતી.
આ આગની જ્વાળાઓ અને ધૂમાડાથી આખું આકાશ ભરાઈ ગયું છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ હોટલ માયાએ મુંબઈના માનખુર્દ વિસ્તારમાં આવેલી છે. હોટલ પાસે આવેલી એક દુકાનમાંથી રવિવારે સવારે કેટલાક લોકોએ ધૂમાડો જોયો. જેને પગલે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. હોટલમાં સલામતીને લઈને તત્કાલમાં કેટલાક રૂમ પણ ખાલી કરી દેવામાં આવ્યા હતા.
ફાયર વિભાગે આગ લાગવાનું કારણ માટે શોર્ટ સર્કિટને જવાબદાર ગણાવી છે. જો કે હજુ વિગતવાર તપાસ બાદ જ આગ લાગવા પાછળનું કારણ જાણવા મળશે.
નોંધનીય છે કે આ આગના કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ હજુ સુધી મળ્યા નથી. જો કે હાલ પણ આગને કાબુમાં લેવાના પ્રયાસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલુ જ છે.
મહત્વનું છે કે રવિવારે બપોરે મુંબઈમાં બાંદ્રા પૂર્વ વિસ્તારમાં પણ અન્ડર કનસ્ટ્રકશન એક ઈમારતમાં પણ ભીષણ આગ લાગી હતી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લઇ લીધી હતી.