બેંગલુરુ,
કર્ણાટકમાં વિધાનસભા ગૃહમાં શનિવારે કરવામાં આવેલા ફ્લોર ટેસ્ટમાં ફેલ થયા બાદ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને સરકારના ગઠન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારના રોજ જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કુમારસ્વામી CM પદની શપથ લઇ શકે છે. ત્યારે આ પહેલા કોંગ્રેસ અને JD(S) ગઠબંધન દ્વારા રાજ્ય સરકારના મંત્રીમંડળ માટે એક ૨૦-૧૩ ની એક ફોર્મુલા તૈયાર કરવામાં આવી છે.
મંત્રીમંડળ માટેની ૨૦-૧૩ ની ફોર્મુલા મુજબ, મંત્રીમંડળમાં કોંગ્રેસ પાર્ટીના ૨૦ ધારાસભ્ય જયારે જેડીએસના ૧૩ MLAને મંત્રી પદ આપવામાં આવી શકે છે.
કુમારસ્વામી મુખ્યમંત્રી પદની સાથે નાણા મંત્રાલય પણ સંભાળી શકે છે.
કર્ણાટકમાં સરકારના ગઠન પહેલા કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થયેલી બેઠકમાં મંત્રીમંડળની ફાળવણીને લઇ વાતચીત થઇ હતી. કુમારસ્વામી મુખ્યમંત્રી પદની સાથે નાણા મંત્રાલયની વધારાનું મંત્રાલય પણ સંભાળશે. જયારે કોંગ્રેસના જી પરમેશ્વરને ઉપ-મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
જયારે અન્ય મંત્રાલયોની ફાળવણીને લઇ રવિવારે કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ વચ્ચે બેઠક થઇ શકે છે.
મહત્વનું છે કે, કર્ણાટક રાજ્યમાં થયેલી ચુંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર અને મુખ્યમંત્રી પદના દાવેદાર એચ ડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ સાથે મળીને બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો હતો.
જો કે ત્યારબાદ જોવા મળેલા સસ્પેન્સ બાદ અંતે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ૧૦૪ સીટ મેળવી બનેલી સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર રચવા માટે સૌપ્રથમ આમંત્રણ આપ્યું હતું.
પરંતુ ભાજપને સરકારના ગઠન માટે રાજ્યપાલ દ્વારા સૌથી પહેલા આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટ પીટીશન કરવામાં આવી હતી. ત્યારબાદ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ભાજપના બી એસ યેદિયુરપ્પાને શનિવાર ૪ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે આદેશ આપ્યો હતો પરતું તેઓ ફેલ રહ્યા હતા.