નવી દિલ્હી,
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઇન્દિરા ગાંધી સ્ટેડીયમ પરથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને આંદોલનનું બ્યુગલ બજાવ્યું છે.
કેજરીવાલ સતત દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. હકીકતમાં કેજરીવાલના આ આંદોલનને 2019 લોકસભા ચુંટણીના પ્રચારના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સુત્રોનું કહેવાનું છે કે પાર્ટી 2019 લોકસભા ચુંટણી દિલ્હીની સાત સીટો પર પૂર્ણ રાજ્યના એજન્ડા પર જ લડશે. અને એની તૈયારી માટે આંદોલનની રણનીતિ બનાવવામાં આવી છે. જે દ્વારા દિલ્હીના સામાન્ય નાગરિકો સુધી આ મુદ્દાને ગંભીરતાથી પહોચાડી શકાય.
વિધાનસભામાં પોતાની સરકાર દ્વારા દિલ્હીને પૂર્ણ રાજ્ય આપવાના પ્રસ્તાવનો સ્વીકાર કરાયાનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંનેએ દિલ્હીના લોકોને ઠગ્યા છે. આમ આદમી પાર્ટીના ટ્વીટર હેન્ડલ પર મુકવામાં આવેલા પત્રમાં કેજરીવાલે કહ્યું કે ચુંટણી પહેલા પાર્ટીઓ ઘોષણાપત્રમાં વચન આપે છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવીશું. પરંતુ આ મુદ્દા પર છેલ્લા 10 વર્ષથી કોઈએ કઈ કર્યું નથી.
કેજરીવાલે કહ્યું કે દિલ્હીના લોકો દ્વારા એક સરકાર ચૂંટવામાં આવ્યા છતાં પણ ઉપ-રાજ્યપાલ દિલ્હીવાસીઓના કલ્યાણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ફેસલો કરે છે. એમણે કહ્યું કે એમની સરકાર પાસે કોઈ તાકાત નથી. જેનો મતલબ એવો છે કે દિલ્હીવાસીઓના વોટની કિંમત શૂન્ય છે. એમણે આગળ કહ્યું કે આ દિલ્હીવાસીઓનું અપમાન છે. અમે રાજધાનીમાં સીસીટીવી કેમેરા લગાવવા માંગીએ છીએ, મહોલ્લા કલીનીક અને રેશન ઇચ્છીએ છીએ, પરંતુ ઉપરાજ્યપાલ એવું થવા નથી દેતા.
કેજરીવાલે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર જેવી રીતે દિલ્હીના લોકોનું શોષણ કરી રહી છે, એવી રીતે અંગ્રેજોએ પણ એમનું શોષણ નથી કર્યું. કેન્દ્ર સરકાર દર વર્ષે દિલ્હીવાસીઓ પાસેથી 13 હજાર કરોડ રૂપિયા ઇન્કમટેક્ષ રૂપે વસુલે છે. આ રકમમાંથી ફક્ત 325 કરોડ રૂપિયા દિલ્હીના વિકાસ પર ખર્ચ કરવામાં આવે છે.