અમદાવાદ: PAAS નેતા હાર્દિક પટેલ દ્વારા ફરીથી પાટીદાર આંદોલનને ફરીથી ઉભું કારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, આગામી તા. 25 ઓગસ્ટને પાટીદાર ક્રાંતિ દિવસથી આમરણાંત ઉપવાસ શરુ કરશે. આ માહિતી તેણે ફેસબુક પોસ્ટના માધ્યમથી જાહેર કરી હતી.
જીવ આપીને પણ પાટીદારને ન્યાય અપાવીશ: હાર્દિક
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલ દ્વારા ગુજરાતમાં ફરીથી પાટીદાર અનામત આંદોલનને ઉભુ કરવાનો પ્રયાસ શરુ કરવામાં આવી રહ્યો છે. જે અંગે પાસ નેતા હાર્દિક પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટના માધ્યમથી માહિતી આપી છે કે તે પાટીદારોને અનામતના મુદ્દે આગામી તા. 25 ઓગસ્ટને પાટીદાર ક્રાંતિ દિવસથી પોતે આમરણાંત ઉપવાસ શરુ કરશે. આ આમરણાંત ઉપવાસ અચોક્કસ મુદત સુધી કરવામાં આવશે.
હાર્દિક પટેલે પોતાની ફેસબુકના પોસ્ટમાં લખ્યું છે કે, ‘જીવ આપીને પણ પાટીદારોને ન્યાય અપાવીશ. એટલું જ નહીં, સમાજને એક દિવસના પ્રતિક ઉપવાસમાં બેસી સહયોગ આપવા માટે પણ તેણે અપીલ કરી હતી.
ઉપવાસ દરમિયાન રોજ એક વ્યક્તિ કરાવશે મુંડન
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ આમરણાંત ઉપવાસ દરમિયાન રોજ એક વ્યક્તિ અનામતના મુદ્દે સરકારને જગાડ્વા માટે પોતાના માથે મુંડન કરાવશે તેવી માહિતી પણ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, પાટીદાર શહીદ યાત્રામાં હાર્દિક પટેલ જોડાતા ક્યાકને ક્યાક એવી અટકળો ચાલી રહી હતી કે, હાર્દિક પટેલ ફરીથી પાટીદાર અનામત આંદોલન ઉભુ કરવાની તૈયારી કરી રહ્યો છે. પરંતુ હવે તો હાર્દિક પટેલે પોતે જ આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે.
હાર્દિક પટેલે ફેસબુક પર લખેલો પત્ર અત્રે પ્રસ્તુત કરાયો
પ્રતિ શ્રી,
મીડિયા બંધુ
આપશ્રી ને જણાવાનું કે તારીખ ૨૫/૮/૨૦૧૮ ને પાટીદાર ક્રાંતિ દિવસ થી હું હાર્દિક પટેલ પાટીદાર સમાજ ને અનામત આપો ની માંગ અને અન્ન ના ત્યાગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતારીશ.જ્યાં સુધી પાટીદાર સમાજને અનામત નો લાભ નહિ મળે ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ઉપર બેસીશ.જીવ જાય તો જાય પણ હવે અનામત ઉપર સરકાર નક્કી કરે.ગુજરાતમાંથી રોજ હજારો ની સંખ્યામાં લોકો જોડાશે અને અસંખ્ય લોકો મને સહયોગ આપવા એક દિવશ ના પ્રતીક ઉપવાસ પણ કરશે.રોજ એક વ્યક્તિ સરકારને અનામત ના મુદ્દે જગાડવા માટે મુંડન કરાવશે.
હાર્દિક પટેલ