કેન્દ્રીય ઔધ્યોગિક સુરક્ષા દળ (સિઆઇએસએફ) એ ૩ એરપોર્ટ પર ઇ-રીડર ગેટ સીસ્ટમ શરૂ કરવાનું નક્કી કર્યું છે. મુંબઈ, દિલ્હી અને બેન્ગ્લુરુના એરપોર્ટમાં આ સીસ્ટમ શામિલ થશે. આ સીસ્ટમ આવ્યા બાદ મુસાફરો એ બોર્ડીંગ પાસ પર સુરક્ષા તપાસની મહોર લગાડવાની જરૂર નહી પડે. હૈદરાબાદ એરપોર્ટ પર આ સીસ્ટમ પહેલાથી જ છે.
મુંબઈ એરપોર્ટે સુરક્ષા અધિકારીઓ સાથે મળીને આ પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ રૂપે આ મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટના ગેટ નંબર 2 પર લાગુ કરવામાં આવશે.
ફ્લાઈટના ટેક ઓફ પહેલા સુરક્ષા તપાસ વાળી જગ્યાએ એચડી કેમેરા લગાવવામાં આવશે, જે મુસાફરો ની સાફ તસ્વીર લઇ શકશે. મુસાફરો એ પોતાનો બોર્ડીંગ પાસનો બારકોડ ઇ-રીડર ગેટ પર સ્કેન કરવાનો રહેશે, જેનાથી એમની ડીટેલ એયરલાઇન્સના ડેટાબેઝમાં પહોચી જશે.
બારકોડ સ્કેન થઇ ગયા બાદ બોર્ડીંગ પાસ ફરીવાર એ જ ઇ-ગેટ પર વાપરી શકાશે નહી. મુસાફરોએ એન્ટ્રી પોઈન્ટ, ક્લીયરીંગ અને બોર્ડીંગ ગેટ એમ ત્રણેય જગ્યાઓએ બારકોડ સ્કેન કરવાનો રહેશે. આગળના ગેટ ત્યારે જ પાર કરી શકશે જયારે પાછળના ગેટ સરખી રીતે પાર કર્યા હશે. ઘણાં દેશોના એરપોર્ટ પર આ સુવિધા છે અને હવે ભારતના બીજા શહેરોમાં પણ આ સુવિધા શરૂ થવા જઈ રહી છે.