જેતપુર,
જેતપુર પેઢલા મગફળી કૌભાંડમાં પોલીસે ગતરોજ જેતપુર માર્કેટીંગ યાર્ડની અલંકાર ટ્રેડર્સ નામની પેઢીના માલીક વિશાલ સખરેલીયાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પુછપરછમાં કરતા જાણવા મળ્યું કે અલંકાર પેઢી દ્વારા પેઢલા વેર હાઉસેથી સારી ગુણવતાની મગફળી ભરી તે મગફળી કેશોદના મેસવાણ ગામે આવેલ ક્રાંતિ ઓઇલ મિલમાં મોકલવામાં આવી હતી.
વેર હાઉસમાંથી ભરેલ મગફળીમાં નબળી મગફળી, માટી તેમજ પથ્થરોંની ભેળસેળ કરી તે મગફળીની ગુણીઓ ફરીથી વેરહાઉસમાં મોકલી દેવામા આવી હતી. આ ભેળસેળ માટે અલંકાર પેઢીએ જે મજુરોને મજુરીકામ માટે લઈ ગયેલ તે આઠ જેટલા મજુરોની પણ તપાસ હાથધરી હતી.
ડીવાયએસપી જે. એમ ભરવાડે નિવેદન માટે બોલાવેલ મજૂરે જણાવ્યું કે અમને તો યાર્ડની જે કોઈ પેઢી મજુરી માટે બોલાવે ત્યાં મજૂરીએ જઇએ છીએ અને અમે અલંકાર પેઢીના વિશાલભાઈ મગફળીને સારી મગફળી સાથે નબળી મગફળીની ભેળસેળ કરવા માટે ગત વર્ષના નવેમ્બર મહિનામાં શહેરના ધારેશ્વર પાસે આવેલ જલારામ નગરમાંના એક ગોડાઉનમાં લઈ ગયા હતા.
ત્યાં અમને સારી મગફળી સાથે નબળી મગફળીની અને માટી પથ્થરોની ભેળસેળ કરેલ અને આ કામ લગભગ એકાદ મહિના જેટલો સમય ચાલ્યું હોવાનું પોતાના નિવેદનમાં જણાવ્યું હતુ.