નવી દિલ્હી,
અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસને દેશભરમાં સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપણે ચાલુ વર્ષે પણ ગણતરીના કલાકો પછી આ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાના છે.
પરંતુ આ વચ્ચે મનમાં એક પ્રશ્ન થાય છે કે, અંગેજો દ્વારા ભારતને આઝાદી આપવા માટે ૧૫ ઓગષ્ટની તારીખને કેમ પસંદ કરવામાં આવી. જો કે આ નિર્ણય ભારતના અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટબેટનનો નિર્ણય હતો.
આ સંપુર્ણ ઘટનાક્રમ પાછળ હતું આ કારણ :
જયારે અંગ્રેજી શાસન દ્વારા ભારતને સત્તા હસ્તાંતરિત કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે નક્કી કરાયું હતું કે, લોર્ડ માઉન્ટબેટન ભારતના અંતિમ વાયસરોય હશે. બ્રિટિશ સંસદ દ્વારા તેઓને ૩૦ જૂન, ૧૯૪૮ સુધી દેશની સત્તા ભારતના લોકોને આપવા માટેનો સમય આપ્યો હતો.
ભારત છોડો આંદોલનના કારણે માઉન્ટબેટન પર વધ્યું દબાણ
જો કે આ દરમિયાન એક તરફ જ્યાં મહાત્મા ગાંધીનું ભારત છોડો આંદોલન હતું, તો બીજી બાજુ ભાગલા પાડવા અંગે નહેરુ અને જિન્ના વચ્ચેનો વિવાદ. આ કારણે માઉન્ટબેટન ઉપર ભારતને જલ્દી જ સત્તા આપવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું હતું, ત્યારે તેઓએ એક વર્ષની રાહ જોયા વગર જ ૧૯૪૭માં જ આઝાદી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વર્ષ ૧૯૪૭માં આઝાદી આપવામાં આવી, પરંતુ હવે માઉન્ટબેટનને આઝાદી માટેનો દિવસ સુનિશ્ચિત કરવાનો હતો. આ માટે તેઓએ ૧૫ ઓગષ્ટની તારીખ પસંદ કરી હતી.
જો કે આ ૧૫મી તારીખ પસંદ કરવા પાછળનું પણ એક કારણ છે. લોર્ડ માઉન્ટબેટન ૧૫ ઓગષ્ટના દિવસને એટલા માટે ખાસ માનતા હતા કારણ કે આ જ દિવસે ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને બ્રિટિશ સેના સામે પોતાના હથિયારો મૂકી દીધા હતા.
માઉન્ટબેટનના તત્કાલીન પ્રેસ સચિવ કૈપબેલ જોન્સનના જણાવ્યા અનુસાર, લોર્ડ ૧૫મી તારીખને પોતાના કેરિયર માટે ખુબ લકી માનતા હતા, જેથી તેઓએ ભારતને આઝાદી આપવા માટે ૧૫ ઓગષ્ટનો દિવસ પસંદ કર્યો હતો.