અમદાવાદ: અષાઢી બીજના દિવસે બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે ત્યારે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ તેમના પુત્ર મહેન્દ્રસિંહને મહેતલ આપતા કહ્યું હતું કે, જો તેઓ એક સપ્તાહમાં કાર્યકરોને ના બોલાવે તો મારા અને તેમના સંબંધનો અંત આવશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહે આજે સવારે ભાજપમાં જોડાઈને કેસરિયો ખેસ પહેરી લીધો હતો. આમ અચાનક ભાજપમાં જોડાવવાના મહેન્દ્રસિંહના નિર્ણયથી તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા થોડા નારાજ થયા છે.
આ મામલે તેમણે આજે બપોરે અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મેં મારા પુત્ર મહેન્દ્રને ભાજપમાં જોડાતા પહેલાં કોઈ પણ જાતની ઉતાવળ ન કરવા કહ્યું હતું. આમ છતાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
હું તેમને એક સપ્તાહની મહેતલ આપું છું કે, તેઓ એક અઠવાડિયામાં પોતાના કાર્યકરોની બેઠક બોલાવે અને તેમનો મત જાણો, જો કાર્યકરો ભાજપમાં જવાના મતમાં સાથે નથી તો ભાજપને છોડી દો, જો તેઓ હા પાડે તો કોઈ વાંધો નથી. પણ જો તેઓ એક સપ્તાહમાં કાર્યકરોને ના બોલાવે તો મારા અને તેમના (મહેન્દ્રસિંહના) સંબંધનો અંત આવશે.
વાઘેલાએ જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહના નામની પાછળ મારું નામ જોડાયેલું છે, તેના કારણે લોકોને ગેરસમજ ઉભી થઈ રહી છે. આથી આ માટે હું અહિયાં સ્પષ્ટતા કરી રહ્યો છું. મહેન્દ્રસિંહને મેં કહ્યું હતું કે, કાર્યકરોને પૂછ્યા વિના કોઈ પક્ષની સાથે જોડાવાનો અર્થ થાય છે કે, તમે તમારું ગોઠવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.
દબાણમાં બીજેપીમાં જોડાવવાનો નિર્ણય કર્યો
બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મહેન્દ્રસિંહે મને કહ્યું હતું કે, મારા પર બીજેપીનો કેસરિયો ખેસ પહેરવા માટે દબાણ છે. ત્યારે મેં તેમણે સલાહ આપી હતી કે, તમારા કાર્યકરોને પૂછ્યા વિના આવું પગલું ન ભરવું જોઈએ. જો કે, તેમણે આજે મને જાણ કર્યા વિના જ બીજેપીનો ખેસ પહેરી લીધો હતો.
મારી પરવાનગી વિના ભાજપમાં જોડાયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહેન્દ્રભાઈએ જયારે મને પૂછ્યું હતું ત્યારે મેં તેમને તેમના સમર્થકો, ટેકેદારો અને કાર્યકરોની મંજૂરી લેવા માટે સૂચન કર્યું હતું. પરંતુ ભાજપે પણ મને વિવેક ખાતર નથી પૂછ્યું કે, અમે મહેન્દ્રભાઈનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ સંજોગોમાં હું સ્પષ્ટપણે કહું છું કે, તેમના ભાજપમાં જોડાવવા પાછળ મારી કોઈ ભૂમિકા કે રોલ નથી. જો તેઓ એક અઠવાડિયામાં કાર્યકરોને પૂછીને નિર્ણય નહીં લે તો, તેઓ ભાજપનો ખેસ ઉતારશે તે પછી જ મારા અને તેમની સાથેના રાજકીય સંબંધો રહેશે.