નવી દિલ્હી,
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ૧૬ ઓગષ્ટના રોજ રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ તેઓની અસ્થિઓનું દેશની ૧૦૦ મુખ્ય નદીઓમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જો કે આ વચ્ચે NDA ગઠબંધનમાં સાથી પક્ષ શિવસેના દ્વારા અટલજીના નિધન અંગે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.
શિવસેનાના વરિષ્ટ નેતા સંજય રાઉતે સવાલો ઉભા કરતા કહ્યું, “શું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન ૧૬ ઓગષ્ટના રોજ જ થયું હતું કે આ જ દિવસે તેઓના નિધનની ઘોષણા કરવામાં આવી હતી, જેથી આ સુનિશ્ચિત થઇ શકે કે, પીએમ મોદીનું સ્વતંત્રતા દિવસ પરનું ભાષણ બાધિત ન થઇ શકે”.
શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના મુખ્યપત્ર સામનાના સંપાદક સંજય રાઉતે અટલજીના નિધનના દિવસ અંગે ઉઠાવેલા સવાલો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. રાઉતે કહ્યું, “અમારા લોકોના બદલે શાસકોને આ પહેલા સમજવું જોઈએ કે, “સ્વરાજ્ય” શું છે?.
શું અટલજીનું નિધન ૧૬ ઓગષ્ટના રોજ જ થયું હતું કે ઘોષણા કરાઈ
સામનામાં લખવામાં આવેલા લેખનું શીર્ષક “સ્વરાજ્ય” શું છે ? છે. એમાં લખાયું છે કે, ૧૫ ઓગષ્ટ, સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય શોક અને ધ્વજને અડધી કાઠીએ રાખવાથી બચવા માટે તેમાહ પ્રધાનમંત્રી મોદીને પણ લાલ કિલ્લા પરથી પોતાનું વિસ્તૃત ભાષણ આપવું હતું, ત્યારે વાજપેયીએ આ દુનિયાને ૧૬ ઓગષ્ટના રોજ છોડી અથવા તો તેઓના નિધનની ઘોષણા કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેના દ્વારા છેલ્લા કેટલાક સમયથી BJP અને પીએમ મોદી પર નિશાન સાધતી આવી છે.
ફારુક અબ્દુલ્લાના નારા બાદ તેઓ સાથે કરાયું ગેરવર્તન
સામનાના લેખમાં તેઓએ લખ્યું છે કે, “નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ વાજપેયીના નિધન પર આયોજિત શોક સભામાં “ભારત માતા કી જય’ અને “જય હિંદ”ના નારા લગાવ્યા અને આ કારણે શ્રીનગરમાં તેઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
શિવસેના સાંસદે કહ્યું, “જયારે આ ખબર પડી હતી કે પોલીસે આતંકવાદીઓને પકડ્યા છે જે દિલ્હી પર હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે, ત્યારે આ જણાવે છે કે, સ્વતંત્રતા દિવસ નજીક આવે છે”.
સ્વતંત્રતા દિવસ પર હુમલાની પરંપરા છે
તેઓએ જણાવ્યું હતું કે, “આ પરંપરા ચાલુ વર્ષે પણ જળવાઈ રહી છે, સ્વતંત્રતા દિવસ પર હુમલાની કાવતરું ઘડનારા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી. મોટી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા, ત્યારબાદ જ પ્રધાનમંત્રીએ નિર્ભય થઈને પ્રજાસત્તાક દિવસ મનાવ્યો હતો”.
એમ્સમાં અટલજીએ લીધા હતા અંતિમ શ્વાસ
મહત્વનું છે કે, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલજી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા આને રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, ત્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
ત્યારબાદ તેઓના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો અને પછીથી સ્મૃતિ સ્થળ ખાતે તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.