નવી દિલ્હી,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર વધુ કેટલાક મોટા નિર્ણય લેવાના મુડમાં જોવા મળી રહી છે, ત્યારે હવે સરકાર દ્વારા સામાન્ય લોકો અને ખેડૂતોને વધારે રાહત આપવામાં આવનાર છે.
જોવામાં આવે તો, આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવા, ખેડુતોને સીધા લાભ આપવા જેવા કેટલાક પગલા લેવામાં આવનાર છે. મોદી સરકાર ચૂંટણી વર્ષમાં ક્યાં મોટા પગલા લેશે તેને લઇને સામાન્ય વર્ગમાં ચર્ચા ચાલી રહી છે.
મોદી સરકાર પહેલેથી જ ગરીબ સવર્ણોને નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવા માટેનો નિર્ણય કરી ચુકી છે અને હવે અન્ય મોટા નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે.
કેટલાક અન્ય મોટા નિર્ણયમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં મોટી રાહત, ખેડૂતોના ખાતામાં સીધી મોટી રકમજમા કરાવવી, મધ્યમ વર્ગના લોકો માટે સસ્તા આવાસ લેવાના મામલે લોન અને જીએસટીમાં મોટા ફેરફાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીથી પહેલા ભાજપે આવકવેરામાં મોટી રાહત આપવાની વાત કરી હતી. આ દિશામાં હવે સરકાર આગળ વધીને મોટા નિર્ણય કરી શકે છે.
સરકાર જીએસટીમાં સતત મોટા ફેરફારો કરી રહી છે. આ ફેરફાર કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહત આપવામાં આવી રહી છે. ગુરૂવારના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા અને મધ્યમ વર્ગને રાહત આપવામાં આવી છે.
બીજી બાજુ લોકોને ઘરની લોનને સસ્તી કરવા માટે સરકાર વિચારી રહી છે, આના માટે નાણાંપ્રધાન વારંવાર રીઝર્વ બેંક પર દબાણ લાવી રહ્યા છે.
સરકાર લોકસભાની ચૂંટણી પહેલા મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે. રાજ્યસભામાં પાસ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ સરકાર ફરીથી ત્રિપલ તલાકના મામલે વટહુકમ લાવનાર છે. આ માહિતી સંસદીય બાબતોના કાર્ય પ્રધાન વિજય ગોયલે આ મુજબની માહિતી આપી છે.
અત્રે નોંધનીય છે કે, નાના કારોબારીઓને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ દ્વારા ગુરુવારે મોટી રાહત આપી હતી. આ નિર્ણય મુજબ હવે ૪૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી ગઈ છે. પહેલા આ મર્યાદા ૨૦ લાખ રૂપિયાની હતી.
આ જ રીતે જીએસટી કાઉન્સિલે પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશન માટે છુટછાટની મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી બે ગણી કરીને ૨૦ લાખ કરી દીધી હતી. પહેલા ૨૦ લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગોને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ મળી ગઈ હતી. હવે ઉત્તર પૂર્વીય અને પહાડી રાજ્યો માટે છુટછાટની મર્યાદા ૧૦ લાખ રૂપિયા હતી પરંતુ નાના રાજ્યોએ પોતાના કાયદા બનાવી લીધા છેઅને આ મર્યાદા ૨૦ લાખ રૂપિયા કરી હતી.
GST કાઉન્સિલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ, કમ્પોઝિશન સ્કીમ અને કેરળ હોનારત માટે સેસ લાગૂ કરવા સહિત અનેક પગલા લેવામાં આવ્યા હતા.