રાજકોટ,
ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલની ચૂંટણી લડવાની અટકળો પર પુર્ણ વિરામ મુકાયું છે. અગાઉ સમાચાર મળી રહ્યા હતા કે, ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના પુત્ર રાજકોટમાંથી લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે મીડિયા સામે આવીને કહ્યું છે કે તે ચૂંટણી નહીં લડે.
રાજકોટ બેઠક પર ભાજપમાંથી મોહન કુંડરિયાનું નામ જાહેર થતા ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સતત બીજા દિવસે ચર્ચાઇ રહ્યું હતું. રાજકોટમાં ગઈકાલે ‘ભાઇ આવે છે’ તેવા શિવરાજ પટેલના પોસ્ટર લાગતા ફરી એકવાર રાજકોટમાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ આજે તેમને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પરિવારની ઇચ્છાને માન આપીને તેમણે ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે. શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, મારા પરિવારના દસ જેટલાં સભ્યોએ મીટીંગ કરી હતી અને ચૂંટણી લડવા અંગે ચર્ચાઓ કરી હતી પરંતું એ પછી નિર્ણય લેવાયો હતો કે મારે ચૂંટણી નહીં લડવી.
ઉલ્લેખનીય છે કે શિવરાજ પટેલના રાજકોટ શહેરમાં પોસ્ટરો લાગ્યા હતા જેમાં લખ્યું હતું કે ભાઇ આવે છે…રાજકોટથી…
આ પછી શિવરાજની ચૂંટણી લડવા માટેની અટકળો તેજ થઇ હતી.