નવી દિલ્હી,
સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લાગેલા જાતીય સતામણીનાં આરોપોને ષડયંત્ર બતાવતા મામલામાં હવે પૂર્વ જજ એ.કે.પટનાયક તપાસ કરશે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, આ તપાસમાં સીબીઆઇ ચીફ, આઇબી ચીફ અને દિલ્હી પોલીસ જસ્ટીસ એ.કે.પટનાયકને પૂરો સહયોગ કરશે. સાથે જસ્ટીસ પટનાયક સોગંદનામા અને સાબિતીઓનાં આધારે આ મામલે વધુ તપાસ કરશે.
કોર્ટે જણાવ્યુ કે, ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લાગેલા આરોપ પર નહી પણ તેના પર ષડયંત્ર પર આ સમગ્ર તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જસ્ટીસ પટનાયક સીલબંધ કવરમાં રિપોર્ટને સોપશે. ત્યારબાદ કેસની સુનવણી થશે. વળી ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લાગેલા જાતીય સતામણીનાં આરોપની ઇન હાઉસ તપાસ પેનલનાં જસ્ટીસ એનવી રમનાએ આ પેનલથી પોતાને અલગ કરી દીધા હોવાનુ સામે આવી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લાગેલા જાતીય સતામણીનાં આરોપ પર વકીલ ઉત્સવ બૈંસએ સોગંદનામુ રજુ કર્યુ છે. આ સોગંદનામામાં તેમણે દાવો કર્યો છે કે કોર્ટમાં મનપસંદ નિર્ણય મેળવવામાં અસફળ રહેલા કોર્પોરેટ જગતનાં વ્યક્તિઓ ચીફ જસ્ટીસને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.