ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું ઉર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અંગે સૌરભ પટેલે જણાવ્યું કે, ગુજરાતના વિવિધ ઉત્સવો અને તહેવારોમાં નવરાત્રિ , નવ દિવસનો સૌથી મોટો તહેવાર હોય છે. રસ-ગરબા ગુજરાતી સંસ્કૃતિનું પ્રતીક છે.
નવરાત્રી દરમિયાન અનેક લોકો રોજગારી મેળવતા હોય, આ ઉત્સવ ઈકોનોમીનો પણ એક ભાગ છે. સૌરભ પટેલે આગળ જણાવ્યું કે, અન્ય રાજ્યમાં વસતા ગુજરાતીઓ પણ નવરાત્રિ મહોત્સવ ઉજવે છે. આ ઉત્સવનો વ્યાપ દિનપ્રતિદિન વધતો જાય છે.
રમત-ગમત વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકારે વિવિધ કલાકારોની કલાને ઉજાગર કરવા માટે ખેલ મહાકુંભ સાથે કલા મહાકુંભની ઉજવણી છેલ્લા બે વર્ષથી શરુ કરી છે. કલા મહાકુંભ માટે રાજય સરકારે રૂ. 10 કરોડની ફાળવણી કરી છે.
યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશ્નરે જણાવ્યું હતું કે, 121 જેટલી વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ટીમને અનુક્રમે રૂ. 51 હજાર, રૂ. 41 હજાર અને રૂ. 31 હજારના રોકડ પુરસ્કાર આપી સન્માન કરાશે. ચાલુ વર્ષે કલા મહાકુંભમાં 4.98 લાખ કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.