મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં સાંગલી જિલ્લાના પાલુસ બ્લોકમાં ભામનાલ નજીક એક બોટ પલટી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં 27-30 ગામના લોકો સવાર હતા. અત્યાર સુધી નવ મૃતદેહો મળી આવ્યા છે. તો ત્યાં જ 16 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બાકી બચેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. આ મામલે માહિતી પુણે વિભાગના વિભાગીય કમિશનર દીપક મ્હૈસેકરે આપી હતી.
મહારાષ્ટ્ર પોલીસના વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા), મિલિંદ ભારમ્બેએ કહ્યું કે, ‘આ એક સ્થનિક લોકોની બચાવ બોટ હતી જે પૂરથી પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાને લઇ જવાના પ્રયાસ કરી રહી હતી. અત્યાર સુધી નવ મૃતદેહો મળી આવ્યા છે. 10-12 લોકોના મોતની આશંકા છે. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
મહારાષ્ટ્રમાં હાલમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગયા અઠવાડિયે, 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અત્યાર સુધીમાં 1.32 લાખ લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. અહીંના રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. આ બંને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગે ગુરુવારે પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે બુધવારે સાંજે સાંગલી જિલ્લા માટે માત્ર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી હતી.
પૂણે વિભાગના વિભાગીય કમિશનર દીપક મ્હૈસેકરે કહ્યું કે, પશ્ચિમ મહારાષ્ટ્રના પાંચ જિલ્લા પૂરથી પ્રભાવિત છે અને 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. વહીવટીતંત્રે 1.32 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં બુધવારે અસરગ્રસ્ત જિલ્લાઓના મંત્રીમંડળ અને કલેક્ટરો સાથે બેઠક મળી હતી, જેથી પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.