મોરબી શહેરમાં ઉભરાતી ગટર, હાડપિંજર બની ગયેલા રોડ અને પાણીના નિકાલ બંધ થઇ જતા, રોડ પર રહેતા વરસાદી પાણી અને ઘરમાં ભરાઈ ગયેલા ભૂગર્ભ ગટરના ગંદા પાણીની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શાસક પક્ષ કોંગ્રેસ લોકપ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે અને અત્યાર સુધી મૌન રહેલા વિપક્ષ ભાજપ દ્વારા આજે લોક પ્રશ્ને નગરપાલિકાને તાળા બંધી કરી છે.
જેમાંથી 25 યુવા ભાજપ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. જ્યારે છેલ્લા છ માસથી લોક પ્રશ્ને લગતા આમ આદમી પાર્ટીએ નગરપાલિકાના તમામ 52 સભ્યોના રાજીનામાની માગણી કરીને સરકારી વહીવટદાર મૂકવાની માગણી કરી છે. જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બાબતે વાત કરીએ તો મોરબી નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિમોન્સુનની કામગીરી કરવી જોઈએ. તે કાં તો કરતા નથી અને જો કરે છે તો માત્ર કાગળ ઉપર જ કરીને ગેરરીતિ આચરી રહ્યા છે.
આ ચોમાસાના સતર ઇંચ વરસાદે તેમની પ્રીમોન્સૂન કામગીરીનો પર્દાફાશ કરી નાખ્યો છે. મોરબી શહેરના મહેન્દ્રપરા અને માધાપરમાં છેલ્લા દોઢ માસથી દરરોજ ઢીંચણ સમાણા ભૂગર્ભ ગટરના પાણી ભરેલા હોય છે. જ્યારે મહેન્દ્રપરા અને માધાપરની અંદરની શેરીઓમાં ઘરના ફળિયામાં ગટરના ગંદા પાણી ભરાયા છે.
જનતાએ અનેક રજૂઆત કરી છે પણ ભૂગર્ભગટરનો પ્રશ્નો નહીં ઉકેલાતા, મોરબી શહેર ભાજપ દ્વારા નગરપાલિકાને 72 કલાકનું અલ્ટીમેટમ આપીને બે દિવસમાં કામ પુરા કરવાની ચીમકી આપી હતી. જે આજે પૂર્ણ થઈ જતા આજે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાની હેઠળ ભાજપના સુધરાઈસભ્યો, આગેવાનો અને કાર્યકરોએ રેલી યોજીને નગર પાલિકાએ તાળાબંધી કરવા પહોંચ્યા હતા.
ત્યારે ત્યાં પહેલેથી જ બંદોબસ્તમાં રહેલ પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી અને બહારના દરવાજામાં તાળાબંધી થઇ શકી નહીં તો અંદરના ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બર ને તાળા બંધી કરી હતી. જ્યારે આમઆદમી પાર્ટી એ આને નાટક ગણાવી નગરપાલિકાના 52 ને 52 સભ્યો પ્રજાના પ્રશ્ને નિષ્ફળ ગયા હોય તેઓ રાજીનામું આપે અને સરકારી વહીવટદાર મૂકવામાં આવે તેવી લેખિત રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસરને આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.