અમદાવાદ શહેરનાં વાડજ વિસ્તારમાં એક યુવકને પૈસાની લેતી-દેતી મામલે જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. જેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કલરકામની મજૂરીના બાકી નીકળતા રૂપિયાની લેતીદેતી મામલે સોનુ અને અનિલ જ્ઞાનસિંહ ના ઘરે ગયા હતા. જ્યાં બે શખ્સોએ યુવક જ્ઞાનસિંહને તેના ઘરે જ કેરોસીન છાંટીને જીવતો સળગાવી દીધો હતો. ગંભીર રીતે દાઝેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું આજે સવારે મોત નીપજ્યું હતું. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
મૂળ મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લાનાં રહેવાસી જ્ઞાનસિંહ આશારામ જાદવ (ઉ.વ.42) નવા વાડજ રામાપીરનાં ટેકરા નજીક આવેલી જલાભાઈની ચાલીમાં રહેતા હતા. તેઓ કલરકામ કરી પોતાનું ગુજરાન ચાવતા હતા. જ્ઞાનસિંહને તેમની નજીક રહેતાં અને કલરકામના કોન્ટ્રાક્ટર સોનુ પાસેથી મજુરીના રૂપિયા લેવાના નીકળતા હતા. અવારનવાર રૂપિયાની માંગણી કરવા છતાં સોનુ રૂપિયા આપવાનાં બદલે જ્ઞાનસિંહ સાથે ઝઘડો કરતો હતો.
મંગળવારે સવારે સાડા છ વાગ્યાનાં સુમારે જ્ઞાનસિંહ કલરકામનાં કોન્ટ્રાક્ટર સોનુના ઘરે પોતાની લેણી રકમ લેવા જતાં સોનુએ હું રૂપિયા નથી આપવાનો તારાથી થાય એ કરી લે કહીને તેની સાથે ઝઘડો કરતાં જ્ઞાનસિંહ ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ આશરે સાત વાગ્યાના સુમારે સોનું તથા અનિલ બંને જ્ઞાનસિંહનાં ઘરે આવ્યા હતા અને સોનુએ મારા ઘેર રૂપિયા માંગવા કેમ આવ્યો હતો કહીને ફરી એક વખત ઝઘડો કરી જ્ઞાનસિંહ સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઝઘડા દરમિયાન અનિલે કેરોસીન ભરેલો ડબ્બો સોનુને આપતાં તેમણે જ્ઞાનસિંહ ઊપર કેરોસીન છાંટી દીધું હતું. સોનુએ દિવાસળી ચાંપી દેતાં જ્ઞાનસિંહ ભડભડ સળગવા લાગ્યા હતાં અને નાસભાગ કરી હતી.
સ્થાનિકોએ તેઓને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટના બનતા સોનુ અને અનિલ ત્યાંથી નાસી ગયા હતા. દરમ્યાનમાં આજે સવારે જ્ઞાનસિંહનું સિવિલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.