રાજકોટ,
રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં આમ્રપાલી ચોક નજીકથી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પરંતુ આ તકે મિડિયા દ્વારા ખેડૂતો મામલે પૂછવામાં આવેલા પ્રશ્નો મુદ્દે પરેશ ધાનાણીએ મૌન ધારણ કર્યું હતું. ખેડૂતોના હિત માટે લડવાના દાવા સાથે જનસંપર્ક કરવા નિકળેલા વિરોધપક્ષના નેતાના મૌનને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ તકે મિડિયા સાથેની વાતચીતમાં ધાનાણીએ માત્ર કોંગ્રેસના કાર્યક્રમ વિશે જ વાત કરી હતી. પરંતુ ખેડૂતોના મુદ્દાઓને લઈને મતો મેળવનાર કોંગ્રેસના વિપક્ષી નેતાએ ખેડૂતો અંગે પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં થેન્કયુંનો જવાબ આપ્યો હતો.
એક તરફ દિલ્હીમાં ખેડૂતો પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવી રહ્યું છે. ત્યારે બીજીતરફ ધાનાણીએ ધારણ કરેલા ભેદી મૌનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ વિધાનસભામાં પગાર વધારો થયા બાદ કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.