સ્ટોકહોમ,
દુનિયામાં પુરસ્કારના ક્ષેત્રમાં સૌથી પ્રતિશિષ્ટ મનાતા નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી રહી છે, ત્યારે મંગળવારે પણ ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રના નોબલ પુરસ્કાર વિજેતાઓના નામ ઘોષિત કરાયા છે.
ફિઝિક્સના ક્ષેત્રનો વર્ષ ૨૦૧૮નો નોબલ પુરસ્કાર અર્થુર અશ્કિન, ગેરાર્ડ મૌરું અને ડોના સ્ટ્રિકલેન્ડને આપવામાં આવ્યો છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોને લેસર ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ગ્રાઉન્ડબ્રેકિંગ શોધ માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
એલિસન અને હોન્જોને અપાયો હતો મેડિસિનના ક્ષેત્રનો નોબલ પુરસ્કાર
આ પહેલા સોમવારે વર્ષ ૨૦૧૮ના ફિઝિયોલોજી અથવા મેડિસિનના ક્ષેત્રનો નોબલ પુરસ્કાર સંયુક્ત રીતે અમેરિકાના જેમ્સ પી એલિસન અને જાપાનના તાસુકું હોન્જોને આપવામાં આવ્યો હતો.
ઇમ્યુનોલોજીસ્ટ જેમ્સ પી એલિસન અને તાસુકું હોન્જો દ્વારા દુનિયામાં સૌથી ગંભીર ગણાતી એવી કેન્સરની બીમારીના ઉપચાર (કેન્સર થેરાપી) માટે વર્ષ ૨૦૧૮નો નોબલ પુરસ્કાર અપાયો હતો.
મળશે આટલા રૂપિયાની ઇનામી રાશિ
નોબલ પુરસ્કાર વિજેતાઓને ઇનામી રાશિ તરીકે ૧.૦૧ મિલિયન ડોલર એટલે કે ૭ કરોડ રૂપિયા મળશે.
આ વૈજ્ઞાનિકોને ૧૦ ડિસેમ્બરના રોજ સ્વિડનના સ્ટોકહોમમાં આયોજિત થનારા એક કાર્યક્રમમાં કિંગ કાર્લ XVI ગુસ્તાકના હાથે આ ઇનામ આપવામાં આવશે.
નોબલ પુરસ્કારની શરૂઆત કરનારા એલફ્રેડ નોબેલની વરસીના દિવસે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
૭૦ વર્ષમાં પહેલીવાર નહી અપાય સાહિત્યના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર
અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસ્કૃતિક ગતિવિધિઓ સાથે જોડાયેલા જ્યાં-કલાઉડ અર્નોલ્ટના યૌન ઉત્પીડનના આરોપમાં ફસાવવાના કારણે ઉભા થયેલા વિવાદને કારણે આ વર્ષે સાહિત્યના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સાથે જ નોબલ પુરસ્કારના ૭૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે, જયારે સાહિત્યના ક્ષેત્રમાં આ સર્વોચ્ચ સન્માન ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.