કેવડિયા,
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવવાના છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમને આદરાંજલી પાઠવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વોલ ઓફ યુનિટી નજીક આયોજિત પ્રાર્થના સભામાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે.
પરંતુ જો તમે શનિવાર સવારે ૧૦ થી ૧૨ વાગ્યા વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, તમારી માટે સાવધાન થવાના સમાચાર છે, કારણ કે ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અન્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ કોવિંદની મુલાકાતને અનુલક્ષીને સુરક્ષા સલામતીનો પુખ્તો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને આ જ કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
શું છે મુખ્યમંત્રીનો કાર્યક્રમ ?
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યક્રમ મુજબ તેઓ શનિવાર સવારે ૧૦.૩૦ વાગ્યે કેવડિયા પહોંચશે અને વેલી ઓફ ફ્લાવર જઇને સરદાર સાહેબની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરશે. આ ઉપરાંત વિશ્વની વિરાટતમ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે.
સાથે સાથે તેઓ સરદાર સાહેબના જીવનને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને પ્રદર્શની નિહાળી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા ની ૧૩૨ મીટર ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પર જઇને સરદાર સરોવર બંધ સહિત કેવડિયાનો આહલાદક નજારો માણશે.
રાષ્ટ્રપતિ દેશભરના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રેલ્વે માર્ગે પણ આવી શકે તે હેતુસર ગુજરાત સરકાર અને પશ્ચિમ રેલવે દ્વારા કેવડિયામાં અંદાજે ૨૦ કરોડના ખર્ચેં નિર્માણ થનારા અત્યાધુનિક રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરશે અને જનસભાને સંબોધન કરશે.
જો કે ત્યારબાદ શનિવારે બપોરે ૨.૩૦ કલાકે કેવડિયાથી વડોદરા પહોંચીને વાયુસેનાના ખાસ વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે.