નવી દિલ્હી: નેશનલ કોન્ફ્રેન્સના પૂર્વ ધારાસભ્ય જાવેદ રાણાએ ફરી એક વખત PM નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન કર્યું છે. રવિવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક રેલીને સંબોધિત કરતા રાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં ફક્ત એક ઈસ્લામ જ એવો ધર્મ છે જે સનાતન ધર્મ છે. તેણે કહ્યું હતું કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સનાતન ધર્મમાં વિશ્વાસ રાખતા હોય તો તેમણે (PM એ) ઈસ્લામ કબુલ કરી લેવો જોઈએ.
જાવેદ આટલું કહીને અટક્યો ન હતો, તેણે વધુમાં કહ્યું હતું કે, જો નરેન્દ્ર મોદી ઈસ્લામને જાણશે તો દેશમાં અમન અને શાંતિ આવશે. તમને જણાવવું જરૂરી છે કે, પૂંછમાં રેલિ દરમિયાન તેણે (રાણાએ) પીડીપી અને સજ્જાદ લોન પર પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે, આ બંને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થક છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે પણ જાવેદ રાણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે બયાનબાજી કરી હતી. તેણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પછી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ચા વેચવી પડશે. તેનું કહેવું હતું કે, નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન ન હોવા જોઈએ, હવે તેમણે પોતાની ચાની કીટલી તૈયાર કરી લેવી જોઈએ.
જમ્મુ-કાશ્મીરના મેંઢરના ધારાસભ્ય રહી ચૂકેલ જાવેદ રાણા કેટલીય વખત પોતાની બયાનબાજીના કારણે ચર્ચામાં આવી ચૂક્યો છે. કલમ ૩૭૦ને લઈને પણ તેણે નિવેદન કર્યું હતું કે, જો કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી લેવામાં આવી તો તે ઘાટીમાં ક્યારેય તિરંગો લહેરાવવા નહી દે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં પ્રવર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે. છ મહિના સુધી રાજ્યપાલ શાસન રહ્યા પછી તાજેતરમાં જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.