નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવામાં આવ્યા પછી આજે ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરવામાં આવી રહ્યા છે.
આ મામલામાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ પણ પ્રહાર કર્યા હતા. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરામાં જ્યારે પણ કોઈ નેતા જૂઠમાં પકડાઈ જાય છે ત્યારે તે રાજીનામું આપતો હોય છે અથવા તો તેના ઉપર ઈમ્પીચમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.
આઝાદ થયા બળથી ભારત દેશમાં લોકશાહી અમલમાં છે. જો કોઈ નેતાની ગુણવત્તા સામે સવાલ ઉભો થાય તો તેઓ રાજીનામું આપતા હોય છે. મોટાભાગના દેશમાં ઈમ્પિચમેન્ટની પરંપરા પણ છે તો આ મામલે કોંગ્રેસ શા માટે ઈમ્પીચમેન્ટ લાવતું નથી. રાફેલ વિમાન બનાવતી કંપનીની વિશ્વમાં શાખ છે અને આ રાફેલ ડીલમાં કશું જ ખોટું થયું નથી.
કોંગ્રેસ દ્વારા સંસદના બંને ગૃહમાં પ્રશ્નકાળમાં આ મામલા અંગેની ચર્ચા કરવાની માગ કરવામાં આવી રહી છે. અમે આજે પણ સંસદમાં પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા કરવા માટે તૈયારી દર્શાવી હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા કોઈ ઉત્સાહ દેખાડવામાં આવ્યો નથી. અમે સોમવારે પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ દ્વારા ખોટા દોષારોપણ કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચૂકાદા દ્વારા પણ એ બાબત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે, કોંગ્રેસ દ્વારા ભાજપ પર રાફેલ મુદ્દે ખોટું દોષારોપણ કરવામાં આવી રહ્યું છે.
દેશની સુરક્ષાને લઈને કે પછી દેશના વ્યવસાયિક હિતમાં કે ફાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા એક પ્રામાણિક સોદા સામે જ્યારે સવાલ ઊભા કરવામાં આવે ત્યારે આવા સવાલ ઉભા કરનારાઓની દેશ પ્રત્યેની નિષ્ઠા સામે સવાલ ઊભો થાય છે.
જો આ પ્રકારના સવાલ થતાં રહેશે તો ભવિષ્યમાં આપણાં દેશના સુરક્ષા અધિકારીઓ કે પછી સરકારી તંત્ર કોઈ પણ સુરક્ષા સોદો કરતાં પહેલાં 10 વખત વિચાર કરશે અને તેના કારણે દેશની સુરક્ષા જોખમમાં મુકાશે. દેશમાં જેમણે આ જૂઠ ફેલાવ્યું છે, તેમણે આવું કરીને આપણા દેશની સુરક્ષાને જોખમમાં મૂકી છે.