સી-પ્લેન સુવિધા પછી ગુજરાતનાં સૌથી મોટા શહેર, અમદાવાદમાં પણ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકાશે. આવી રેસ્ટોરન્ટ સાબરમતી નદીનાં કિનારે રાખવામાં આવશે. નદીમાં પાણીની સપાટી વધુ કે ઓછુ હોવાને કારણે છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટ અટવાયો હતો. પરંતુ હવે સી-પ્લેનને કારણે સાબરમતી નદીનું સ્તર બરાબર રાખવામાં આવશે, ફ્લોટિંગ રેસ્ટોરન્ટની આશા ફરી વળી છે. આ માટે રિવરફ્રન્ટમાં પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે.
આપને જણાવી દઈએ કે, દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સી-પ્લેન સર્વિસનાં ઉદ્ઘાટન માટે ગુજરાત આવી રહ્યા છે. આ સમય દરમિયાન, તેઓ સાબરમતી રિવરફ્રન્ટથી કેવિડયા સુધી આશરે 240 કિલોમીટરની મુસાફરી સી-પ્લેન દ્વારા કરશે. સી-પ્લેનને કારણે સાબરમતી નદીનું સ્તર જળવાઈ રહેશે. જેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ પર પણ કામ શરૂ કરી દીધું છે.
જો કે, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તામિલનાડુ – દેશનાં પાંચ રાજ્યોમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ કાર્યરત છે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં લગભગ 300 લોકોની બેસવાની ક્ષમતા છે. કેટરિંગ સિવાય તેઓ સ્વિમિંગ પૂલની સુવિધા પણ આપે છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓ પણ આકર્ષાય છે.