અમદાવાદમાં નવા વર્ષની શરૂઆતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગરમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નાસ્તો કરવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રએ જ તેના મિત્રની હત્યા કરી નાખી છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના મેઘાણીનગર માં રહેતા દેવેન્દ્રકુમાર રાજપૂત મકાન દુકાન બનાવવાનું કામકાજ કરે છે. તેઓએ આ હત્યા બાબતે ફરિયાદ નોંધાવી છે. 24 વર્ષીય મૃતક યુવક ઘનશ્યામ ઉર્ફ બાબા જગમોહન રાજપૂત ભાર્ગવ રોડ પરની ડિફેન્સ કોલોની ખાતે રહેતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક યુવક ઘનશ્યામ ઉર્ફ બાબા જગમોહન રાજપૂત (ઉં,24) ડિફેન્સ કોલોની ગલી નંબર-4 ભાર્ગવ રોડ મેઘાણીનગર ખાતે રહેતો હતો. શુક્રવારે બપોરે 2.30 વાગ્યે ઘનશ્યામ ઉર્ફ બાબા રાજપૂત, રીંકુ ઉર્ફ ટમાટર અને અન્ય મિત્રો ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. તે સમયે બોલાચાલી થતા ઘનશ્યામે મિત્ર રીંકુ ઉર્ફ ટમાટરને બે-ત્રણ લાફા મારી દીધા હતા.
આ દરમિયાન સાંજે ઘનશ્યામ ઉર્ફ બાબા ડિફેન્સ કોલોની ગાયત્રી મંદિર પાસે તેના મિત્રો દેવેન્દ્રકુમાર રાજપૂત, ધીરજ ઠાકુર, રામનરેશ તોમર અને દિલીપ યાદવ પાસે ઉભો હતો. ત્યારે ઘનશ્યામે બપોરે રીંકુ સાથે બનેલી તકરારની ઘટનાની વાત કરી હતી. તે સમયે 100 મીટર દૂર ઉભેલા રીંકુએ ઘનશ્યામને બૂમ મારીને પોતાની પાસે બોલાવ્યો હતો.
ઘનશ્યામ અને રીંકુ બન્ને વાતચીત કરતા હતા. તે સમયે રીંકુના કાકાનો દીકરો ચેતન પહોંચ્યો હતો. ચેતને ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને અચાનક રીંકુ ઉર્ફ ટમાટરે તેની પાસેનું ચાકુ કાઢી ઘનશ્યામને ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા. આ ઘટના જોઈ દેવેન્દ્ર રાજપૂત સહિતના મિત્રો સ્થળ પર પહોંચ્યા હતા. ઘનશ્યામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન સાંજે ઘનશ્યામને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
આ બનાવને પગલે મેઘાણીનગર પોલીસે મૃતક ઘનશ્યામ ઉર્ફ બાબાના મિત્ર દેવેન્દ્રકુમાર રામપલતસિંહ રાજપૂત (ઉં,31)ની ફરિયાદ આધારે આરોપી રીંકુ ઉર્ફ ટમાટર ભગવાનદાસ રહેદાસ અને તેના પિતરાઈ ભાઈ ચેતન બિરન રહેદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…