@ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ – કેશોદ
સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે કેશોદ સરકારી દવાખાનામાં પણ સવારે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવેલ છે.
જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગનાં સ્ટોર પરથી કેશોદ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ફાર્માસીસ્ટ દિપેનભાઈ અટારા ગઈકાલે સાંજે કોરોના વેકસીનનો જથ્થો લાવ્યા હતા અને કેશોદ સરકારી દવાખાને કુમકુમ તિલક કરી વધાવવામાં આવેલ હતું. આજ રોજ સવારે કેશોદનાં ધારાસભ્ય દેવાભાઈ માલમ અને આરોગ્ય વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વક્તવ્યમાં જોડાયા હતા. કેશોદ સરકારી દવાખાને ખાસ રસીકરણ માટે ઉભા કરાયેલાં વોર્ડમાં ધારાસભ્ય અને આરોગ્ય વિભાગનાં અધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા મેડિકલ એશોશીએશનનાં પ્રમુખ ડૉ.કથીરીયાને પ્રથમ કોરોના રસી નર્સીગ સ્ટાફનાં કિરણ કારેણા દ્વારા આપવામાં આવેલ હતી.
કેશોદ ખાતે પ્રથમ તબક્કામાં 120 કોરોના વેકસીન ફાળવવામાં આવેલ છે, જે ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ ડૉક્ટરોની યાદી તૈયાર કરવામાં આવેલ છે. આજ રોજ પ્રથમ તબક્કામાં જે લોકોને રસીકરણ કરવામાં આવેલ છે, તેઓને 28 દિવસ પછી ફરીથી બીજો ડોઝ આપવામાં આવશે. કેશોદ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં અધિક્ષક વીરડીયાએ જણાવ્યું હતું કે, કેશોદ સરકારી દવાખાનામાં રસીકરણની કામગીરીમાં પ્રથમ આરોગ્ય વિભાગ ત્યારબાદ પોલીસ સ્ટાફ બાદમાં 60 વર્ષથી વધારે ઉંમરનાં લોકોને આપવામાં આવશે. સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. કેશોદ અર્બન હેલ્થ સેન્ટરનાં ડૉ.પોપટ, ડૉ.રક્ષિત જોષી, ડૉ.ભીમાણી, ડૉ.ભાવિ વાંછાણી, ડૉ.હર્ષ પરમાર સહિતનાં આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ અને 108 નો સ્ટાફ હાજર રહ્યા હતાં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…