કોરોનાકાળમાં સંક્રમિત નથી થયા તે લોકો પોતાના સ્વાસ્થય પ્રત્યે વધારે જાગૃત બન્યા છે. ત્યારે આરોગ્ય સારુ રહે અને કોરોનાકાળમાં સાવચેતી કેવી રીતે રાખવી તેનો પાઠ ભણવો જરૃરી છે. સ્વાસ્થયને લઇને લોકો અચાનક જ જાગૃત બની ગયા છે. પરંતુ એક મહિલા એવા પણ છે જે બારેમાસ યોગાના ક્લાસ ચલાવે છે અને તે પણ નિઃશુલ્ક. કોરોનાના આવા કપરાકાળમાં તો યોગ કરી મન અને તનને સ્વસ્થ રાખવાની પ્રેરણા પણ આપે છે.
સારુ કાર્ય કરવા માટે સમય અને સંજોગોની રાહ નથી જોવાતી. બસ તેને કરવા માટે લાગણી અને સારી ભાવના જરૃરી છે. આણંદના આરતીબેન પટેલ લાગણીની વ્યાખ્યામાં બરોબર ફીટ બેસે છે. આરતીબેન અને તેમની ટીમ વિના મૂલ્યે લોકોને યોગ શીખવી રહ્યા છે. સોશીયલ ડિસ્ટન્સને અનુસરીને તો ક્યારેક ઓનલાઇન યોગના જુદા-જુદા આસન શીખવાડીને આ મહામારીમાં મનથી મક્કમ બનવાના પાઠ ભણાવે છે.
બિમારીઓ સામે રામબાણ ઇલાજ : આજની જનરેશન યોગ્ય આહારના અભાવે અથવા તો યોગ્ય આહારની અધુરી જાણકારીના કારણે અનેક બિમારીના ભોગ બને છે. તેવા સમયે યોગ દરેક રોગની દવા સમાન છે. જુદા-જુદા પ્રકારના યોગા જુદી-જુદી બિમારી માટે ઉપયોગી બની રહે છે. અને તેના કારણે જ આજે વિશ્વ ફલક પર આપાણા યોગને સવિશેષ માનવામાં આવે છે.
સમાજને ઉપયોગી બનો : આ વીશે વાત કરતા આરતીબેન પટેલ કહે છે, દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થય પ્રત્યે જાગૃત બનવુ જોઇએ. અને ખાસ કરીને આજે જે પ્રમાણે ચારેબાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે યોગએ મન અને તન બન્નેને શાંત કરવાનો ઉત્તમ માર્ગ છે. એકબાજુ પરીવારના કોઇ સદસ્ય કોરોના સામે લડી રહ્યા હોય અને બીજી બાજુ દર્દીના સગાએ પણ મન મક્કમ રાખી કામ કરવાનું હોય છે. આવા સમયે જો થોડો સમય પણ યોગ કરવામાં આવે તો દરેક મુશ્કેલી સામે લડી શકાય છે. આમ તો હું બારેમાસ યોગા શીખવુ છું પરંતુ હાલની સ્થિતીમાં ઓનલાઇન યોગા શીખવવાનું વધુ યોગ્ય ઘણું છું. જો કે અમુક સમયે સોશીયલ ડિસ્ટન્સ અને દરેક નિયમને અનુસરીને ટીમ સાથે યોગ શીખવવામાં આવે છે. સમાજમાં બને એટલા ઉપયોગી બનીએ તો સારૃ. અમારો હેતુ પણ યોગાના માધ્યમથી લોકોને મદદ કરવાનો છે.
ખાસ કરીને શાળાના બાળકો જે હાલ અભ્યાસ નથી કરી રહ્યા તેમના માઇન્ડ પર વધુ અસર થઇ છે. અને કોરોનાની બીજી લહેરમાં બાળકો વધુ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. માટે બાળકો ડિપ્રેશનનો ભોગના બને અને તે યોગાના માધ્યમથી બળપણથી સ્ટ્રોગ બને તેવા પ્રયાસ કરવામાં આવે છે.