ઑલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) ના અધ્યક્ષ બદરુદ્દીન અજમલે જનસંખ્યા વૃદ્ધિ પર વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આનંદ-પ્રમોદ માટેનું કોઇ સાધન ન હોવાના કારણે લોકો વધારે બાળકો પેદા કરે છે. અજમલે આ વાત ખાસ કરીને મુસ્લિમ પરિવારોના સંદર્ભમાં કરી છે. એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીત દરમિયાન તેમણે માન્યું કે જનસંખ્યા વિસ્ફોટ આજના સમયની એક મોટી સમસ્યા છે, પરંતુ તેની પાછળનો તર્ક એવો આપ્યો જે સાંભળીને તમને હસુ આવશે.
વધતી વસતી પર અજમલનું હાસ્યાસ્પદ નિવેદન
વધતી વસતીની સમસ્યાનું સમાધાન શું છે? આ સવાલ પર અજમલે કહ્યું કે, “તેમને એન્ટરટેન્મેન્ટ માટે તમે શું આપ્યું? ટેલિવીઝન તેમની પાસે છે? રહેવા માટે તો ઘર નથી. હવા માટે પંખો તેમની પાસે નથી. કરંટ નથી, વીજળી નથી. માણસ તે પણ છે. ગરીબ રાતે ઉઠશે, પતિ-પત્ની છે, બન્ને જવાન છે. શું કરશે? બાળકો જ પેદા કરશે, બીજુ શું કરશે?”
ગજબનું વાહિયાત નિવેદન
હકીકતમાં, અજમલે પોતાનો જવાબ બે ભાગમાં આપ્યો. પહેલા ભાગમાં તેમણે કહ્યું, “પોપ્યુલેશન એક સમસ્યા છે. જેનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી. સોલ્યુશન એ છે કે લોકોને તાલીમ આપો, એજ્યુકેટ કરો, ભણાવો. જ્યારે તે ભણશે તો પોતાના માટે સારા-નરસાને સારી રીતે સમજી શકશે. પરંતુ બીજા ભાગમાં તેમણે ગરીબીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું, બીજી વાત ગરીબી છે. જ્યાં સુધી તમે ગરીબી દુર નહીં કરો આ સમસ્યા દૂર થવાની નથી.” ત્યાર બાદ તેમણે એન્ટરટેન્મેન્ટ, વીજળી, પંખો અને જવાની જેવું ધડ-માથા વગરનું નિવેદન આપ્યું.
એવું નથી કે અજમલ મુસલમાનોમાં વધારે બાળકો પેદા કરવાની સમસ્યા પર આ પ્રકારની વાતો કરનારા પહેલા મુસ્લિમ નેતા છે. તેમની પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને સમાજવાદી નેતા આઝમ ખાન પણ આ જ પ્રકારના નિવેદન વારંવાર કરી ચૂક્યા છે. 2015માં તેમણે એમ કહ્યું હતું કે અમે ગરીબ છીએ એટલે વધારે બાળકો પેદા કરીએ છીએ.