આઈબીના અહેવાલ બાદ ટીએમસી સત્તા વાપસીની રાહમાં, ભાજપ સત્તા મેળવવાના ખ્વાબમાં છે જ. જોઈએ હવે કોનું શમણું સફળ થાય છે ?
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ચાર રાજ્યોનો ચૂંટણીપ્રચાર પૂર્ણ થયા બાદ અત્યારે તમામ રાજ્યોએ હવે પશ્ચિમ બંગાળમાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ભાજપની ૨૪ થી વધુ કેન્દ્રીય પ્રધાનો, ત્રણ મુખ્યમંત્રીઓ અને ૧૦૦ સાંસદોની ટીમ બાકી વધેલી ૨૦૩ બેઠકો પર ગોઠવાઈ ગઈ છે. જે ૯૧ બેઠકો માટે મતદાન પુરૂ થયું તેના માટે ટીએમસી અને ભાજપ વચ્ચે દાવાઓ અને પ્રતિદાવાઓનો દોર ચાલુ જ છે. ટીએમસીના નેતાઓ એવો દાવો કરે છે કે મમતા દીદીની હેટ્રીક પાકી છે. મમતા બેનરજીએ પોતે એક જાહેર સભામાં કહી દીધું છે કે એક પગે બંગાળ લઈશ અને બે પગ બરાબર કામ કરતા થશે ત્યારે દિલ્હી લઈશ. જ્યારે ભાજપના નેતાઓ કહે છે કે મતદાન થયું તે ૯૧માંથી ૬૫ બેઠકો અમને મળશે અને હવે અમારે ૨૦૦ બેઠકો બાકી છે. મુસ્લિમોને વિભાજન વગર મતદાન કરવાની અપીલ બદલ ભાજપના શિર્ષસ્થ નેતાઓની ફોજે મમતા બેનરજીએ ચૂંટણી પંચને કરેલી ફરિયાદના પગલે પંચે મમતા બેનરજીને કારણદર્શક નોટીસ ફટકારી છે તો બીજી બાજુ ભાજપના શીર્ષસ્થ નેતાઓ દ્વારા પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસો વધતા હોવા છતાં ત્યાં જે રીતે નેતાઓ રેલી-રોડ શોમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવે છે તે બાબત અંગે દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચનો પણ જવાબ માગ્યો છે કે નેતાઓ સોશ્યલ ડીસ્ટન્સ અને કોવિડની ગાઈડલાઈનના ધજાગરા કેમ ઉડાડે છે ? આ સૌથી મોટો સવાલ – પ્રશ્ન છે.
ટૂંકમાં હવે પશ્ચિમ બંગાળમાં મુખ્ય જંગ ટીએમસી અને ભાજપ વચ્ચે છે તો કોંગ્રેસ અને ડાબેરી મોરચાનું જોડાણ લગભગ ગત ચૂંટણી કરતાં ઘણી ઓછી બેઠકો સાથે ત્રીજા સ્થાને ધકેલાઈ જશે. ઓવીસીન પક્ષ ભલે બેઠકો ઓછી લડે છે પણ તે જ્યાં લડે છે ત્યાં જીતે કે ન જીતે પણ ટીએમસી અને કોંગ્રેસ ડાબેરીઓના મોરચાને નુકસાન અવશ્ય કરશે. રાજકીય નિરીક્ષકો કહે છે તે પ્રમાણે એવીસીની પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે તે પણ હકિકત છે. જો કે બિહાર અને બંગાળમાં ફેર છે અથવા તો બંગાળ એ બિહાર નથી તે વાત તો ચૂંટણી પછી જ સાબિત થશે. જનતાદળ (યુ) પણ ૬૦ બેઠકો પર મેદાનમાં છે. ભલે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર મેદાનમાં નથી આવ્યા પરંતુ જનતાદળ (યુ)ના અન્ય સ્ટાર પ્રચારકો મેદાનમાં છે.
કોંગ્રેસ માત્ર ૯૨ બેઠકો લડે છે અને કોંગ્રેસ જ્યાં લડે છે તે બેઠકો માટે માત્ર આઠ કે નવ બેઠકોનું મતદાન થઈ ગયું છે. બાકી હવે કોંગ્રેસે પોતાના સાંસદો જ્યાંથી ચૂંટાયા છે તે ત્રણ કે ચાર બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાં પશ્ચિમ બંગાળના ઉત્તર અને પૂર્વ વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધી પરિવારના કોઈ સભ્ય હજી ચૂંટણી પ્રચારમાં આવ્યા નથી. કોંગ્રેસના અન્ય જે સ્ટાર પ્રચારકો છે તેમાંથી માત્ર સાત કે આઠ સ્ટાર પ્રચારકોએ સભાઓ લીધી છે. જ્યારે ડાબેરી નેતાઓ પોતાની રીતે પ્રચાર કરે છે. કેરળના ડાબેરી મોરચાના ઘણા નેતાઓ ત્યાંનું મતદાન પૂર્ણ થયા બાદ બંગાળમાં આવ્યા છે અને જ્યાં ડાબેરી મોરચાના નેતાઓ પ્રચાર કરે છે તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ માત્ર ભાજપ પર વધુ પ્રહારો કરે છે. જ્યારે ડાબેરી મોરચાના નેતાઓ ભાજપ અને ટીએમસી બન્ને પર આકરા પ્રહારો કરે છે.
હવે ચૂંટણી બાદ કોંગ્રેસનું વલણ શું ? તે બાબત પશ્ચિમ બંગાળ જ નહિ પરંતુ સમગ્ર દેશના રાજકીય નિરીક્ષકોની નજર છે. કોંગ્રેસના પશ્ચિમ બંગાળના મુખ્ય સ્ટાર પ્રચારક અને અત્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે થઈને જ લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા પદના હોદ્દામાં રજા પર ઉતરેલા અને સારા વક્તા એવા અધિર રંજન ચૌધરી કહે છે કે અત્યારે અમારો હેતુ સંયુક્ત મોરચાને બહુમતી મળે તેવો છે. પરંતુ જાે ચૂંટણી પરિણામોને અંતે ટીએમસીને બહુમતી કરતા ઓછી બેઠકો મળે અને ટીએમસી દ્વારા અમારા ટેકાની માગણી થાય તો પશ્ચિમ બંગાળ સંયુક્ત મોરચાની સમિતિ આ અંગે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. એક વાત નક્કી છે કે કોંગ્રેસ ભાજપને સત્તા મળે તેવું હરગીઝ ઈચ્છતી નથી.
જ્યારે પશ્ચિમ બંગાળના એક સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ગનીખાન ચૌધરીના ભાઈ વાય.એમ. ચૌધરી તો ખૂલ્લેઆમ કહે છે કે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ ચૂંટણી બદ જરૂર પડે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે મમતા બેનરજીને ટેકો આપવો જોઈએ. જો કે ડાબેરીઓના કોઈ વગદાર નેતાએ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો નથી. કારણ એ છે કે મમતા બેનરજીએ ડાબેરીઓના ૩૦ વર્ષના શાસનનો જે રીતે ૨૦૧૧માં અંત લાવ્યા બાદ ૨૦૧૬ની ચૂંટણી અને લોકસભાની ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં તેમજ ત્યારપછી યોજાયેલી સ્થાનિક સંસ્થાઓ અને પેટાચૂંટણીમાં ડાબેરી મોરચાને જે રીતે હરાવ્યો છે તેનો ડંખ ડાબેરી નેતાઓ હજી ભૂલ્યા નથી. આમ છતાંય પશ્ચિમ બંગાળના ડાબેરી નેતાઓ આજની તારીખમાં પણ ભાજપ સત્તા પર ન આવે તેવું તો ઈચ્છે જ છે. જો કે તેમણે પોતાનો આ મત જાહેર કર્યો નથી.
પશ્ચિમ બંગાળની ગત ચૂંટણીમાં ડાબેરીઓ કરતાં કોંગ્રેસને વધારે બેઠકો મળી હતી. આ વાત જગજાહેર છે. જાે કે મમતા બેનરજી સહિત ટીએમસીના નેતાઓ સત્તાની હેટ્રીક માટે આશાવાદી છે અને ભાજપે તો ૨૦૦ પ્લસ બેઠકો મેળવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી છે. કેન્દ્રીય તપાસનીશ સંસ્થા, આઈબીના લીક થયેલા અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં દીદીનો દબદબો યથાવત રહે છે. આ અહેવાલની વિગતો દબાવી દેવા કે તેનો પ્રચાર ન થાય તે જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ ભાજપના નેતાઓને સૂચના આપી હતી પરંતુ વડાપ્રધાનની સૂચના પશ્ચિમ બંગાળ ભાજપના આગેવાનો સુધી પહોંચે તે પહેલા જ ટીએમસીએ સોશ્યલ મિડીયાના માધ્યમથી આખા પશ્ચિમ બંગાળમાં આ અહેવાલની વિગતો વાયરલ કરી દીધી હતી. આ અંગે પશ્ચિમ બંગાળજ નહીં પણ દિલ્હીના વિશ્લેષકોએ એ વાતની નોંધ લીધી છે કે મમતા બેનર્જીએ ભાજપનું જ શસ્ત્ર ભાજપ સામે ઉગામ્યું છે.
પશ્ચિમ બંગાળમાં પરિણામ ગમે તે આવે પણ કીંગ બનવા બે પક્ષો થનગને છે તો કીંગમેકર બનવા માટે પણ કોંગ્રેસ જાહેરમાં અને ડાબેરીઓ પણ અંદરખાનેથી આ જ પ્રકારના ખ્વાબમાં છે. આઈબીનો લીક થયેલો છેલ્લો અહેવાલ, ભાજપના નેતાઓનો દાવો, ટીએમસીનો આસાવાદ કે કીંગમેકર બનવાના કોંગ્રેસના શમણાં તેમાંથી કોણ સાચું પડે છે તેની તો બીજી મે એ જ ખબર પડશે.