લખનઉ,
છેલ્લા કેટલાક વર્ષોથી હંમેશાની માટે રાજકીય પાર્ટીઓના મુદ્દાનું કેન્દ્રબિંદુ રહેલા એવા અયોધ્યાના રામ મંદિરના નિર્માણ અંગે વધુ એકવાર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણીના દિવસો નજીક આવી રહ્યાની સાથે જ આ મુદ્દો ફરીથી ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ મામલે સમાજવાદી પાર્ટીના એક સાંસદનું એક નિવેદન સામે આવ્યું છે.
સપાના રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરે કહ્યું, “ચુંટણી પહેલા રામ મંદિરના નિર્માણની આશા જોવા મળી રહી છે”.
રામ મંદિર છ મહિનામ બની જશે
સપાના સાંસદ પોતાને રામભક્ત બતાવતા જણાવ્યું હતું કે, “હું ભગવાન રામનો ભક્ત છું અને મને વિશ્વાસ છે કે, આવનારી લોકસભા ચુંટણીને જોતા, અયોધ્યામાં આગામી ત્રણ કે છ મહિનામાં જ રામ મંદિર બની જશે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “ચુંટણીના કારણે હવે રાજકીય પાર્ટીઓ ભગવાન રામને યાદ કરશે. ભાજપની સરકારને સાઢા ચાર વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે, ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પાર આવ્યા બાદ રામ મંદિર બનાવવાના દાવાનું શું થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જયારે રામ મંદિરને લઈ નેતાઓ દ્વારા નિવેદનબાજી કરવામાં આવી છે.
આ પહેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇ ભાજપ સાંસદ સાક્ષી મહારાજે શનિવારે કહ્યું હતું કે, “૨૦૧૯ પહેલાં જો રામ મંદિરનું બાંધકામ થશે નહીં તો તેઓ ભાજપની સાથે ઉભા નહીં રહે. કારણ કે રામ મંદિરના મુદ્દા પર સંતોની સાથે ઉભા છીએ”.
આ ઉપરાંત યુપીના નાયબ મુખ્યપ્રધાને રામ મંદિરના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરતા કહ્યું, “મંદિરના નિર્માણ માટે જયારે કોઈ વિકલ્પ બચતો નથી, ત્યારે કેન્દ્ર સરકાર સંસદમાં એક પ્રસ્તાવ લાવી શકે છે”.