દેશમાં કોરોના ની પરિસ્થિતિ નીકળવા માટે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી તમામ સક્રિય છે. હોસ્પિટલોમાં ઘણી વખત સામાન્ય દર્દીઓ બેજ ની જગ્યા રોકી લેતા હોવાના કારણે ગંભીર દર્દીઓને બેડ મળતાં ન હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. ત્યારે કેન્દ્ર સરકારે ફરી એક વખત દિશા નિર્દેશ જાહેર કર્યા હતા, જેના પગલે રાજ્ય સરકારે પણ ખાસ દિશા નિર્દેશિકા જાહેર કરી છે,ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે. જેને પગલે હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ ગઈ છે.રાજ્ય સરકારે કેટલાક નિયમો જાહેર કર્યા છે, જેના કારણે કોરોનાના દર્દીઓ તેમજ તેના પરિવારજનો માટે મોટી રાહત સાબિત થાય તેમ છે.
રાજ્ય સરકારે જાહેર કરેલ દિશા નિર્દેશિકા મુજબ અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ કરવા માટે પહેલા RTPCR ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી હતો. પરંતુ હવે RTPCR રિપોર્ટ વિના જ જો શંકાસ્પદ લક્ષણો હશે તો દાખલ કરીને સારવાર આપવા રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. માત્ર એટલું જ નહીં, 108 કે ખાનગી વાહનો એમ ગમે તે વાહનમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.
ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનો ચાલુ રાખવા આપી પરવાનગી
અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનની રજૂઆત બાદ ગૃહમંત્રી પ્રદિસિંહ જાડેજાએ રાજ્યમાં ચશ્માની દુકાનો ચાલુ રાખવા પરવાનગી આપી છે. ચશ્માની દુકાનો પેરામેડિકલમાં આવતી હોવાથી અને અન્ય રાજ્યોમાં આ દુકાનોને મળેલી પરવાનગીને ધ્યાનમાં લઇને કોવિડ-19ની ગાઇડ લાઇનના પાલન સાથે દુકાનો ચાલું રાખવા માટે પરવાનગી આપવામાં આવી.
છેલ્લા 24 કલાકમાં 12,545 નવા કેસ
રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 13 હજાર 21 લોકોએ કોરોનાને હરાવ્યો છે. ગઈકાલે 5મી મેએ 74 દિવસ બાદ નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી હતી. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 545 નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહ એટલે કે સાત દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 75.92 ટકા થયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 45 હજાર 972ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8035 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 90 હજાર 412 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 47 હજાર 525 એક્ટિવ કેસ છે, જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 46 હજાર 739 દર્દીની હાલત સ્થિર છે.