માતૃત્વ : ભાવિની વસાણી
વર્તમાન સમયમાં કોરોનાની મહામારી એ ભલ ભલાના જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે. જેના કારણે આપણી જીવનશૈલીમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. સોશિયલ ડીસ્ટનસિંગ, માસ્ક વગેરે તેમજ અન્ય સાવચેતી વગેરેનું પાલન કરવું જરૂરી બન્યું છે. ઘરના પુખ્ત વયના લોકો તો કોરોનાવાયરસના કારણે માનસિક તાણ તેમજ ઉદાસીનતા અનુભવી રહ્યા છે, પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની અસર થઇ રહી છે.આપણા સમાજમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે કોઈ હસતી રમતી વ્યક્તિને ક્યારેય તનાવની અનુભૂતિ થતી નથી. આ કારણથી આપણે બાળકોમાં આવી રહેલા તનાવ પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય તેવું બને છે. આપણને એવું લાગતું હોય છે કે નાના બાળકોને કોઇ જ પ્રકારનો તનાવ હોતો નથી.
ભારતમાં તરુણાવસ્થામાં બાળકોના તનાવ માટે વિવિધ કેટેગરી જોવા મળે છે. જેમાં અભ્યાસ, પારિવારિક સમસ્યા, આર્થિક પરિબળ, પિયર પ્રેશર, મિત્રતા જેવા સંબંધોમાં સમસ્યા વગેરે અનેક બાબતો બાળકોમાં ડીપ્રેશન જન્માવે છે. એમાં હવે તો મોબાઈલે પણ મોકાણ માંડી છે તેમજ ઓનલાઈન એજ્યુકેશન ના કારણે પણ બાળકના તનાવમાં વધારો થતો હોય તેવું જોવા મળ્યું છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં 10 થી 20 વર્ષની વયના કિશોર બહોળા પ્રમાણમાં માનસિક સ્વાસ્થ્યથી પીડિત છે. તેમજ 15 થી 19 વર્ષની વયના બાળકોમાં મોત માટે ત્રીજું સૌથી જવાબદાર કારણ એ આત્મહત્યા છે. બાળકોમાં રહેલા તનાવને કહેવાતા હોશિયાર લોકો પણ ઓળખી શકતા નથી, ત્યારે તેઓ આત્મહત્યા જેવું પગલું ભરી લેતા હોય છે, આ માટે બાળકોની અંદર રહેલા તનાવના લક્ષણોને પ્રાથમિક દ્રષ્ટિએ જ ઓળખવામાં આવે તે હિતાવહ છે.
બાળકોની અંદર તણાવના લક્ષણોની ઓળખ કઈ રીતે કરશો ?
* તેનો દરેક ચીજ વસ્તુઓમાં થી રસ ઉડી જાય છે.
* તેના વજનમાં ખૂબ જ ઘટાડો થાય છે.
* તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે.
* તેનું પાચનતંત્ર ખરાબ થાય છે.
* તેની ઊંઘમાં ઘટાડો થાય છે.
* તેનો સામાજિક પ્રવૃત્તિઓમાં રસ ઘટતો જાય છે.
* તે બેચેન રહેવા લાગે છે.
* તે થાકેલું કે બેદરકાર હોય તેવું વર્તન કરે છે.
* તે ગુસ્સો અથવા હિંસા કરે છે.
* તે સતત ચિંતા કે તાણ અનુભવે તેવા વિચારો કરે છે.
* તે આત્મહત્યા વિશેની વાત કરે છે.
આ તમામ ગુણો છે જેના દ્વારા તમને તમારા બાળકની અંદર રહેલા તનાવ અંગે ઓળખ થઈ જતી હોય છે. આ તનાવ વધી જાય તે પહેલા યથા યોગ્ય સારવાર આપવી જોઈએ તેમજ મનોવૈજ્ઞાનિકની સલાહ લઇ યથાયોગ્ય પગલાં ભરવા જોઇએ.
નિવારણ કઈ રીતે કરશો ?
* માતા-પિતાએ તેના બાળક સાથે રોજ સમય વિતાવવો જરૂરી છે. બાળકની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી તેમજ તેના મૂડમાં આવતા ઉતાર ચડાવ નજીકથી નિહાળવા જોઈએ. અને જો કોઈ પરિવર્તન નજરે પડે તો તેને મિત્ર બની અને યથાયોગ્ય સલાહ આપવી જોઈએ.
* જેમ ઈશ્વરે અલગ-અલગ ફળ અને ફૂલ બનાવ્યા છે તેમ બાળકો પણ અલગ અલગ હોઈ શકે એ માટે તમારા બાળકને સરખામણી કોઇ સાથે કરવી નહીં. અને તેને તેનું મુક્ત આકાશ આપવું જોઈએ. તેને તમારી અપેક્ષાના બોજ નીચે કચડવાની કોશિશ ના કરો.
* યાદ શક્તિ વધારવા માટે કે પછી ફોકસ તેમજ રિલેક્સ થવા માટે કેટલીક શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ તેમજ ધ્યાન અને પ્રાણાયામ હોય છે, તે માટેની શિબિરો જે તે સંસ્થામાં થતી હોય તે બાળકને કરાવવી જોઈએ અને તેનાથી તનાવમાં ઘણો બધો ઘટાડો થાય છે.
* સંગીતનો ઉપયોગ માત્ર શોખ માટે નહીં પરંતુ તનાવ નિવારણ માટે પણ થઈ શકે છે, સંગીતના જુદાજુદા રાગમાં રોગ ભગાડવાની શક્તિ હોય છે, તો તેના દ્વારા પણ બાળકના તનાવમાં ઘટાડો થતો હોય છે, માટે તેને ગમતું હોય તેવું સંગીત તેને સાંભળવા દેવું જોઈએ. તેમજ તેને ગમતું કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ તેને શીખવા દેવું જોઈએ, જે તેની સર્જનાત્મકતા બહાર લાવવામાં તથા તનાવ ઘટાડવામાં મદદ કરે છે.
* માત્ર તમને ગમે તે ક્ષેત્રે કારકિર્દી માટે તેને કોઈપણ પ્રકારનું દબાણ ન આપતા તેને પોતાની કારકિર્દી માટે પોતાનો અભ્યાસક્રમ પસંદ કરવાની તક આપો, તેમજ ક્યારે ઓછી ટકાવારી આવે તો તેને નાસીપાસ ન થાય તે પ્રકારનું વાતાવરણ ઊભું કરો, અને વિશ્વાસ અપાવો કે કોઈપણ સંજોગોમાં તમે તેની સાથે છો અને રહેશો. આ ઉપરાંત વર્તમાન સમયમાં માત્ર અભ્યાસ એક જ કમાવવાનું સાધન નથી જેથી તેને જે વિષયમાં રસ પડે તે ક્ષેત્ર તેને પસંદ કરવા દો. સંગીતના ક્ષેત્રમાં પણ કારકિર્દીની વિશાળ તકો રહેલી છે.
* તરુણાવસ્થામાં તનાવ નિવારવા માટે સૌપ્રથમ માતા-પિતાની ત્યારબાદ શિક્ષકોની અને પછી મનોચિકિત્સકોની જવાબદારી રહેલી છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની થેરપી પણ બાળકનો તનાવને નિવારવા માટે મદદરૂપ થાય છે, પરંતુ તમારા બાળકના તનાવને ઓળખી અને સૌપ્રથમ મનોચિકિત્સકની સલાહ લઇ તે પ્રમાણેની થેરપી દ્વારા તેને સારવાર આપો જેથી તેનો તનાવ વધી ન જાય કે તે આત્મહત્યા કરવા માટે પ્રેરાય.