શહેર માં ગઇકાલે ભારે વરસાદ પડ્યો હતો જેમના લીધે રાજમાર્ગોને જબરી નુકશાની થઇ છે . મોટાભાગના રાજમાર્ગો પર મહાકાય ખાડા પડી ગયા છે. શહેરીજનોને હાલાકી વેઠવી ન પડે તે માટે તાત્કાલીક અસરથી આ ખાડાઓ અંગે સર્વે કરી ખાડાઓ બુરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવા સંબંધીત વિભાગને મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ભારે વરસાદમાં તૂટેલુ ડ્રેનેજની કુંડીઓ અને મેઈન હોલના ઢાંકણા બદલવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.
ગઈકાલે રાજકોટમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. ભારે વરસાદના કારણે રાજમાર્ગોને તોતીંગ નુકશાની થવા પામી છે. મોટાભાગના રાજમાર્ગો પર મહાકાય ખાડા પડી ગયા છે. આ ખાડાના કારણે કોઈ વાહન ચાલકને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક અસરથી ખાડાઓ અંગે સર્વે કરી ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કરી દેવા મેયર અને મ્યુનિ.કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
આજે બપોરે મેયર ડો.પ્રદિપ ડવે ત્રણેય ઝોનના સીટી એન્જીનીયર અને વોર્ડના ડે.સિટી એન્જીનીયર સાથે એક બેઠક યોજી હતી. બીજી તરફ ભારે વરસાદના કારણે શહેરમાં પડેલા ખાડા બુરવા અંદાજે 60 થી 65 લાખનો ખર્ચ થાય તેવી સંભાવના છે. કોઠારીયા રોડ, મવડી વિસ્તાર અને રામનાથપરા વિસ્તારમાં રસ્તાઓને સૌથી વધુ નુકશાની થવા પામી છે. મુખ્ય રાજમાર્ગો પર સૌપ્રથમ ખાડાઓ બુરવામાં આવશે. ત્યારબાદ શેરી-ગલીઓના ખાડા બુરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે. શહેરમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તાને થયેલા નુકશાનીનો આંક આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કલેકટર કચેરી ખાતે યોજાનારી બેઠકમાં મહાપાલિકા દ્વારા રજૂ કરવામાં આવે તેવી પણ શકયતા હાલ નકારી શકાતી નથી.