‘‘રાજકારણમાં કોઈ સુખી નથી. ધારાસભ્યને મંત્રીપદ ન મળ્યું એટલે દુઃખી છે. મંત્રી પદ મળ્યું તેને સારૂ ખાતું ન મળ્યું તેનું દુઃખ છે. સારૂ ખાતું મળ્યું તેને મુખ્યમંત્રી પદ ન મળ્યું તેની વ્યથા છે અને જેઓ મુખ્યમંત્રી બની ગયા એ એટલા માટે દુઃખી છે કે તે ક્યારે રહેશે – ક્યાં સુધી રહેશે અને ક્યારે ઘરભેગા થવું પડશે તેની કોઈ ખાતરી નથી.’’ આ શબ્દો કોઈ રાજકારણ વિરોધીના કે રાજકીય વિશ્લેષકના નથી. વિપક્ષના કોઈ અગ્રણીના પણ નથી પરંતુ કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ના છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂકેલા આ નેતાએ પોતાના હોદ્દા દરમિયાન અનેક કડવા ઘૂંટડા પીધા છે. કેન્દ્રમાં પ્રથમવાર પ્રધાન બન્યા ત્યારે તેમની પાસે માર્ગ પરિવહન, શીપીંગ એન્ડ ટ્રાન્સપોર્ટ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સહિત અડધો ડઝનથી વધુ ખાતાઓ હતાં. પરંતુ અત્યારે તેમની પાસે માર્ગ અને પરિવહન સિવાય બીજું કોઈ કાતું નથી. આ ખાતામાં પણ આ મહાનુભાવ દેશમાં હાઈવે બનાવવામાં અત્યાર સુધીના તમામ માર્ગ અને પરિવહન મંત્રીની કામગીરીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. લગુ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ ગડકરીએ કરેલી કામગીરીને બિરદાવવા સિવાય ચાલે તેમ નથી.
હવે તેમણે જે સુખી નથી અને દુઃખી નથી તેવા મતલબવાળા વિધાનો કર્યા તેમાં છેલ્લે મુખ્યમંત્રી આવે છે અને કયા મુખ્યમંત્રીને ક્યારે વિદાય લેવી પડે તે નક્કી નથી તે વાત ગુજરાતમાં થયેલા સત્તા પરિવર્તનને લાગુ પડે છે. એટલું ચોક્કસ કહી શકાય. ભલે ગુરૂવારે રાત્રે તખ્તો ગોઠવાયાનું વિશ્લેષકો કહેતા હોય પણ સરદારધામવાળા કાર્યક્રમ પછી સીધા વિજયભાઈ રૂપાણી રાજભવન ગયા હતા તે વખતે બે કેન્દ્રીય પ્રધાનો પણ હાજર હતા અને તેમણે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. ભલે આમ તો આ બે દિવસ પહેલાં લેવાયેલા નિર્ણયનો ભાગ હતો પણ અમલ તો ઓચિંતો જ થયો. હવે ગડકરીની બીજી વાત એ છે કે મોટા હોદ્દાવાળા સલામત નથી. માત્ર ગુજરાત નહિ પણ અગાઉ ચાર મુખ્યમંત્રીઓ બદલાઈ ચૂક્યા છે. બીજા બે-ત્રણની વિદાય ગમે ત્યારે થઈ શકે છે. આ બધી બાબતોનો ઉલ્લેખ કર્યા વગર કટાક્ષ અને ટકોર કરતાં વિધાનો તો આ કેન્દ્રીય મંત્રીએ ભાજપના મોવડીઓ માટે જ કર્યા છે. ભલે સીધો પ્રહાર ન કર્યો હોય પરંતુ કોથળામાં રાખેલી પાંચશેરી તો ફટકારી જ છે તેવું કહી શકાય.
નીતિન ગડકરીએ ૨૦૧૯ બાદ અડધો ડઝનથી વધુ વખત પોતાની જ મોદી સરકારને નિશાન બનાવતા વિધાનો કર્યા છે. ખાસ કરીને બે-ત્રણ માસ પહેલા એમ કહેલું કે રાજકારણીઓેએ પાળી શકાય તેવા જ વચનો આપવા જાેઈએ. ન પાળી શકાય તેવા ઠાલા વચનો આપવાથી દૂર જ રહેવું જાેઈએ. આ બાબત પણ કેન્દ્રની વર્તમાન સરકારને બરાબર લાગુ પડે છે. તેમના આ વિધાનો વખતે પણ જે તે સમયે વિશ્લેષકોએ લખેલું કે આ વિધાનો ભાવવધારો રોકવા માટે જે વચન અપાયું છે તે નહિ પાળી શકવા તરફ અંગુલિનિર્દેશ હતો. અથવા તો ‘મહેંગાઈ હટાકર અચ્છે દિન લાયેંગે’નો જે નારો ૨૦૧૪માં અપાયેલો તે ૨૦૨૧ શરૂ થયા સુધી સાચો પડ્યો નથી તેના તરફ પણ આડકતરો ઈશારો તો છે જ તે વાત નોંધ્યા વગર ચાલી શકે તેમ નથી.
ભૂતકાળમાં મોદી સરકારના ઘણા નિર્ણયો અંગે નીતિન ગડકરીએ અવાજ ઉઠાવ્યો છે. સંઘના વડામથક નાગપુરના સાંસદ અને સંઘના જ નિષ્ઠાવાન સ્વયંસેવક તરીકેની છાપ ધરાવતા ગડકરી સ્પષ્ટ વક્તા પણ છે અને સારા વહીવટકર્તા પણ છે. કોરોનાની બીજી લહેર વખતે જે સ્થિતિ ઉભી થઈ અને તત્કાલીન આરોગ્યમંત્રી હર્ષવર્ધન નિષ્ફળ જઈ રહ્યા હોવાના ખૂલ્લા નિવેદનો વિપક્ષી આગેવાનોએ આક્ષેપો સાથે કર્યા અને બીજી લહેર હળવી બની રહી હતી ત્યારે કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરબદલની ચર્ચા શરૂ થઈ તેવે સમયે નીતિન ગડકરીએ માર્ગ પરિવહન, શીપીંગ ખાતામાં માળખાકિય સુવિધાઓ ઉભી કરવા માટે જે ઝડપથી અને યોગ્ય કામગીરી કરેલી તેના કારણે તેમને આરોગ્ય જેવું ખાતું ફાળવીને પ્રમોશન અપાશે તેવી ઘણા વિશ્લેષકોએ અટકળો કરી હતી. ભલે અન્ય કેટલાક પ્રધાનોની જેમ નીતિન ગડકરીનું ખાતું બદલાયું નહિ પરંતુ જેમની પાસે લઘુ અને મધ્ય ઉદ્યોગોવાળું જે ખાતું હતું તે પણ નારાયણ રાણે જેવા શીવસેના અને કોંગ્રેસમાંથી આવેલા નેતાને સોંપાયું. હકિકતમાં આ નીતિન ગડકરીનું અવમૂલ્યન હતું. જાે કે પોતાના અવમૂલ્યનરૂપી વિષનો ઘૂંટડો તેઓ ગળી ગયા છે – આ પ્રશ્ને તેઓ બોલતા નથી પરંતુ મોકો મળે ત્યારે અન્ય પ્રશ્નો અંગે પોતાના જ પક્ષની સરકાર અને સંગઠન સામે અવાજ ઉઠાવતા રહે છે.
નીતિન ગડકરીએ ધારાસભ્યોથી મુખ્યમંત્રી સુધીની બાબતો અંગે અને તેમાંય ખાસ કરીને મુખ્યંમત્રીઓ અસલામત છે તેવા અર્થમાં જે વાત કરી તેના કારણે ભાજપના આગેવાનો સ્તબ્ધ થઈ ગયા છે પરંતુ સાથોસાથ એટલી વાત પણ નક્કી છે કે ભાજપનો એક મોટો વર્ગ અંદરખાને એવો મત પણ વ્યક્ત કરી રહ્યો છે કે નીતિન ગડકરીએ તેમની વેદનાને અસરકારક વાચા આપી છે. તાજેતરમાં જેમને અચાનક વિદાય લેવી પડી તેવા ભાજપશાસિત રાજ્યોના ઘણા મુખ્યપ્રધાનો પણ આનાથી ખૂશ થતાં હશે તે પણ હકિકત છે.
નીતિન ગડકરી ભલે કેન્દ્રીય પ્રધાન છે, જવાબદાર આગેવાન છે. સંઘના સ્વયંસેવક છે એટલે ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની જેમ દરેક વખતે પોતાનો મત વ્યક્ત કરતાં નથી. આમ તો વિરોધ પક્ષો પર પ્રહારો કરવામાં તેઓ સ્પષ્ટ વક્તા છે પરંતુ કોથળામાં પાનશેરી રાખી પ્રહાર કરવા જેવા વિધાનો કરી પોતાની સરકાર કે નેતાઓની ટીકા કરવાની એક પણ તક તેઓ ચૂકતા નથી તે પણ હકિકત છે.
આ સંજાેગો વચ્ચે પરિસ્થિતિ એવી છે કે નીતિન ગડકરી પોતાના ખાતામાં અન્ય કોઈ સાથીદારો કરતાં ચડિયાતી કામગીરી કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો તેમની આ કામગીરીને અનેક વખત જાહેર કાર્યક્રમો વખતે પણ બિરદાવી છે. તેનાથી ગડકરી ખૂશ છે પણ તેમની કામગીરીની કદર થતી નથી તેનાથી નારાજ પણ છે.
પરંતુ આ સંજાેગોમાં બીજી બાબત એ પણ છે કે હમણા જે મુખ્યમંત્રીઓને બદલવાનો સીલસીલો ભાજપશાસિત રાજ્યોમાં શરૂ થયો છે તે પણ અન્ય આગેવાનોની જેમ નીતિન ગડકરીને પણ પસંદ નથી. ઘણા વિશ્લેષકોએ પણ નોંધ્યું છે કે ભૂતકાળમાં ઈંદિરા ગાંધી વડાપ્રધાન અને કોંગ્રેસના સર્વેસર્વા હતા તેવે સમયે મુખ્યમંત્રીઓની પસંદગી અને વિદાય તેમની ઈચ્છા મુજબ જ થતી હતી તે જગજાહેર બાબત છે. ઈંદિરાજીની ટીકા તો બાજુએ રહી પણ પડ્યો બોલ ન ઝીલનારા મુખ્યમંત્રીઓને રાતોરાત પાણીચું પકડાવી દેવાતું હતું. અત્યારે પણ આજ સ્થિતિ છે. પોતાના એક વખતના નજીકના અને માનીતા મુખ્યમંત્રી જે રીતે વિદાય અપાઈ તે જ આ બાબતનો જીવંત પૂરાવો છે તેમ કહી શકાય. એક સાહિત્યકાર પહેલા કહેતા કો’ક તો જાગો’ તેની જેમ ભાજપના મોવડીઓ જાે કોંગ્રેસના કોંગ્રેસે અપનાવેલો માર્ગે ચાલતા હોય તો કો’કે તો ટપારવા જાેઈએ ને ? બસ આજ કામ ગડકરીજી કરે છે !!
રાજકીય લાભ / ભાજપ ‘ગુજરાત લેબ’માંથી મેળવેલ ફોર્મ્યુલા ‘નો રિપીટ’ થિયરી કાયદો અન્ય રાજ્યોમાં પણ લાગુ કરશે..!
Cricket / વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ટી 20 ની કેપ્ટનશીપ છોડવાની કરી જાહેરાત
ગુજરાત વિધાનસભા / આવો જાણીએ મંત્રીઓનો પરિચય તથા કયા મંત્રીને ફાળે કયું ખાતું આવ્યું….