કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ બુધવારે તેમની પાર્ટી ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાથી દૂર રહેવાનું કહ્યું છે. આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવેલા યેદિયુરપ્પાએ સાદી ભાષામાં કહ્યું હતું કે, “કોઈએ આવું બોલવું જોઈએ નહીં. હું તેની સાથે વાત કરીશ અને પૂછીશ કે આવા નિવેદન પાછળની પૃષ્ઠભૂમિ શું હતી. આવું બોલવાની જરૂર નહોતી.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જેવા નેતા સામે કોઈએ અપમાનજનક વાતો ન કરવી જોઈએ. તેમના પક્ષના કાર્યકરો તેમનું સન્માન કરે છે. આ સપ્તાહની શરૂઆતમાં કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કરેલા એક ટ્વિટથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શબ્દોનું યુદ્ધ થયું છે.
આ ટ્વીટને ફગાવી દેતા શિવકુમારે કહ્યું કે, એક શિખાઉ સોશિયલ મીડિયા મેનેજર દ્વારા કર્ણાટક કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલ અભદ્ર ટ્વીટ ખેદજનક છે અને તેને પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મંગળવારે કતીલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમના આ નિવેદનથી કોંગ્રેસ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી.