પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ બુધવારે દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આગામી વિધાનસભા ચૂંટણી અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં નવજોત સિંહ સિદ્ધુ ડ્રગ્સ સંબંધિત રિપોર્ટ્સ જારી ન કરવા સહિત ઘણા મુદ્દાઓ પર પોતાની જ સરકારને ઘેરી રહ્યા છે. આવા સમયે સીએમ ચન્ની અને સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે, જેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્ધુએ મોગાના બાઘાપુરામાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, “જો પંજાબ સરકાર (STF) રિપોર્ટ સાર્વજનિક નહીં કરે તો સિદ્ધુ આમરણાંત ઉપવાસ શરૂ કરશે.”રાજ્યમાં વિરોધ પક્ષો આમ આદમી પાર્ટી (AAP) અને અકાલી દળ સતત ચૂંટણી પ્રચાર ચલાવી રહ્યા છે. પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહ નવી પાર્ટીની જાહેરાત બાદથી ગઠબંધનને લઈને ચર્ચામાં છે. ભાજપ પંજાબને લઈને નિયમિત બેઠકો પણ કરી રહ્યું છે. બુધવારે જ શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસા અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને ભાજપમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે.