અમેરિકા અને કેનેડા સરહદ પાસે કલોલ તાલુકાના એક પટેલ પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકા જતાં હતાં ત્યાં ઠંડીના કારણે પરિવારના 4 લોકોના કરૂણ મોત થયા હતાં. અમેરિકાની સરહદ નજીક રાજ્યમાંથી ચાર લોકોના મોતના સમાચાર સામે આવતાની સાથે ગુજરાતમાં ગાંધીનગરના એક ગામના બે પરિવારો તુર્કી થઈને અમેરિકા જતી વખતે લાપતા થયા હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીનગર પોલીસના જણાવ્યા અનુસાર, આ બે પરિવારમાં છ સભ્યો છે. ગાંધીનગરના કલોલ તાલુકાના એક ગામના બે અલગ-અલગ પટેલ પરિવારો ઈસ્તાંબુલ થઈને અમેરિકા જવા રવાના થયા હતા એવું માનવામાં આવી રહ્યું છે કે ઇસતાંબુલમાં માનવ તસ્કરો દ્વારા પૈસા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું!
ગાંધીનગર પોલીસ સૂત્રો દ્વારા “એક પરિવારમાં તેજસ પટેલ, તેમની પત્ની અલકા અને તેમના પુત્ર દિવ્ય છે તેમજ બીજા પરિવારના સભ્યો સુરેશ પટેલ, તેમની પત્ની શોભા અને તેમની પુત્રી ફોરમ છે. તેઓ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગામ છોડીને અમેરિકા ગયા હતા. જે બાદ ઈસ્તાંબુલમાં ભારતીય દૂતાવાસને પીડિતોના સંબંધીઓ અને મિત્રો તરફથી અપહરણની ફરિયાદ મળી હતી.
CIDની એક ટીમ પરિવારોના પ્રવાસનું પુનઃનિર્માણ કરવાનો પ્રયાસ કરી રહી છે. જેથી તેઓ ઈસ્તાંબુલ કેવી રીતે ગયા અને તેઓ કેવી રીતે યુએસ પહોંચવાનો ઈરાદો ધરાવતા હતા તેનું કારણ બહાર આવશે. ચાલુ તપાસને કારણે અધિકારીએ ગામનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પટેલ, તેમની પત્ની અને યુએસ બોર્ડર નજીક મૃત્યુ પામેલા બે નાના બાળકોને તેમના તાલુકાના એક એજન્ટ દ્વારા તેમના પ્રવાસ પર મોકલવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ જ સંદિગ્ધ ટ્રાવેલ એજન્ટ બંને પરિવારોને ઈસ્તાંબુલ મોકલવામાં સામેલ હોઈ શકે છે.જગદીશ પટેલ તેમની ઉંમર 35 વર્ષ, તેની પત્ની વૈશાલી ઉ.વ. 33 અને તેમના બાળકો વિહંગા ઉ.વ. 12 અને ધાર્મિક ઉ.વ. 3 છે. જે કેનેડા અને યુએસ બોડર પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેઓ માઇનસ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સરહદ પાર કરીને યુએસ જતાં હતાં. તેમના મૃતદેહો કેનેડાની બાજુએ યુએસ બોર્ડરથી માત્ર 10 મીટરના અંતરે મળી આવ્યા હતા.