રશિયા તરફથી હુમલાના ખતરાનો સામનો કરી રહેલા યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા એર ઈન્ડિયા આગળ આવી છે. આ એરલાઇન કંપની ભારત અને યુક્રેનના બોરીસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે 22, 24 અને 26 ફેબ્રુઆરીના રોજ 3 ફ્લાઇટ્સનું સંચાલન કરશે.
એર ઈન્ડિયાએ કહ્યું કે આવતા અઠવાડિયે મંગળવાર, ગુરુવાર અને શનિવારે 256 સીટર બોઈંગ 787 ડ્રીમલાઈનર ફ્લાઈટ્સ ભારતથી યુક્રેન મોકલવામાં આવશે. યુક્રેનથી ભારત આવતા નાગરિકો એર ઈન્ડિયા બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ શરૂ કરી શકે છે.
ઉલ્લેેકનીય છે કે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરાયેલા ‘એર બબલ’ કરાર હેઠળ ભારત અને યુક્રેન વચ્ચે ચાલતી ફ્લાઇટ્સની સંખ્યા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, જેથી ભારતીયો પૂર્વ યુરોપિયન દેશોમાંથી તેમના દેશમાં આવી શકે.
કોરોના રોગચાળાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સંપૂર્ણપણે શરૂ થઈ નથી. હાલમાં જે ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી છે તે એર બબલ એગ્રીમેન્ટ હેઠળ ઉડાન ભરી રહી છે. આ કારણે ફ્લાઇટની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોએ યુક્રેનમાં ભારતીય દૂતાવાસ પાસેથી ફ્લાઈટ ન મળવાની ફરિયાદ કરી હતી.