Lok Sabha: વિશેષાધિકાર ભંગના મામલામાં લોકસભા સચિવાલય તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું છે. નિશિકાંત દુબે અને પ્રહલાદ જોશીની ફરિયાદ પર લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને આ નોટિસ મોકલી છે.
લોકસભા સચિવાલયે કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને વિશેષાધિકાર ભંગના કેસમાં નોટિસ મોકલી છે અને 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને પ્રહલાદ જોશીની ફરિયાદ પર લોકસભા સચિવાલય દ્વારા મોકલવામાં આવી છે. તેમના પર 7 ફેબ્રુઆરીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટા, તિરસ્કારપૂર્ણ, અસંસદીય અને ભ્રામક તથ્યો મૂકવાનો આરોપ છે.
લોકસભા સચિવાલયની વિશેષાધિકાર અને આચાર શાખાના નાયબ સચિવે રાહુલ ગાંધીને આ ઈમેલ મોકલ્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને આ મામલે બુધવાર સુધીમાં જવાબ આપવા કહ્યું છે. જયારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને કહ્યું હતું કે નિયમ 380 હેઠળ, રાહુલ ગાંધીના કેટલાક અસંસદીય, અપમાનજનક આરોપોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવા જોઈએ.
અગાઉ, કોંગ્રેસે સંસદની કાર્યવાહીમાંથી તેના પક્ષના નેતાઓના ભાષણોના ભાગોને હટાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ભૂતકાળમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં આપેલા ભાષણોમાં એવું કંઈ નહોતું કે જેનાથી કોઈને દુઃખ થાય, અથવા તો અશોભનીય કે અસંસદીય હોય, તેમ છતાં આ નેતાઓના ભાષણોના અંશો દૂર કરવામાં આવ્યા હતા. . તેમણે કહ્યું કે જો વાણીની સ્વતંત્રતા કે જે નિર્ભય ચર્ચા તરફ દોરી જાય છે તેને દબાવવામાં આવે છે, તો સંસદ ભાગ્યે જ દેશ પ્રત્યે જવાબદાર હોઈ શકે.